ભાવનગર ઘોઘામાં દલિત પર થયેલા અત્યાચાર મામલે જીગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી પર આક્ષેપ કર્યા હતા. આ દરમિયાન મેવાણીએ પ્રદીપસિંહને છ ફૂટની ઊંચાઈના ગૃહમંત્રી કહ્યા. ત્યારે મેવાણીને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રોક્યા હતા. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, વિધાનસભા ગૃહમાં મંત્રી કે MLAની ઉંચાઈની વાત ન કરવી જોઈએ.
શું હતો સમગ્ર મામલો
ભાવનગરના સાણોદર ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના એક ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યું હતું. તે દરમિયાન ડી.જે વગાડવાની ના પાડતા અમરાભાઈ બોરીચાની હત્યા કરાઈ હતી. અમરાભાઈના ઘર પાસેથી વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં ડી.જે વગાડવાની અમરભાઈએ ના પાડી અને તેના બદલામાં સરઘસમાં રહેલા ટોળાએ અમરાભાઈને ઘરમાં ઘૂસી તલવારો વડે તેમના અને પરિવાર ઉપર હુમલો કર્યો હતો. આ ઘટના ઘવાયેલા અમરાભાઈને હોસ્પિટલ લઈ જવાતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.
દલિત સમાજના લોકોએ ઘોઘા PSI પર પગલા ભરવાની કરી માગ
મૃતક અમરાભાઈની દીકરી તેમજ તેના પત્ની ઉપર પણ આ ટોળાએ હુમલો કર્યો હતો. મૃતક અમરાભાઈના પુત્રીનો આક્ષેપ હતો કે, 2013માં પણ આ માથાભારે શખ્સોએ અમારા ઉપર હુમલો કર્યો હતો. અમને પોલીસ રક્ષણ મળ્યું હતું તેમ છતાં આજ માથાભારે શખ્સોએ અમારા ઘરમાં ઘુસી મારા પિતાની હત્યા કરી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ઘોઘાના પી.એસ.આઈ સોલંકી અમારી કોઈ ફરિયાદ લેતા નથી અને તેના કારણે જ આ માથાભારે શખ્સોને મોકળું મેદાન મળ્યું છે. અને મારા પિતાની હત્યા કરી છે.