શહેરમાં બાઇક પર આવેલા શખ્સો ચેઇન સ્નેચિંગ કરીને પલાયન થઇ ગયા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે, પરંતુ હવે નંબર પ્લેટ વગરની કારમાં આવી સાધુનો વેશ ધારણ કરીને વહેલી સવારે સરનામું પૂછવાના બહાને સોનાના દાગીના પડાવી લેતી ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આશ્રમ કે મંદિરનું સરનામું પૂછવાના બહાને દાગીના પડાવી લેવાની ચાર ઘટના પ્રકાશમાં આવી છે.
સાધુના વેશમાં આવી લુંટ કરી રહ્યાં છે આવારુંતત્વો
કાર ઉભી રાખી સોનાનો ચેઈન ખેચી લીધો
આ અગાઉ પણ મણીનગરમાં આવી ઘટના બની છે
મણિનગરની નિવાસ હરિકૃષ્ણ સોસાયટીમાં રહેતા તનસુખભાઇ રાઠીએ પોલીસમાં ત્રણ ઈસમો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે કે તા ર૧ જાન્યુઆરીએ તનસુખભાઈ વહેલી સવારે દૂધ લઇને પરત ઘરે ફરી એક્ટિવા પાર્ક કરી રહ્યા હતા તે દરમિયાન એક ગ્રે કલરની કાર તેમની નજીક આવી હતી, જેમાં ડ્રાઇવર અને તેની બાજુમાં સાધુના વેશમાં એક યુવક અને પાછલી સીટમાં એક યુવક એમ ત્રણ શખ્સ બેઠા હતા. આ સાધુએ કારનો કાચ ઉતારી તનસુખભાઇને બૂમ પાડી બોલાવીને કહ્યું કે નજીકમાં કોઇ મંદિર છે? તનસુખભાઇએ નજીકમાં ભૈરવદાદાનું મંદિર હોવાનું કહેતાં આ સાધુએ તેમને મંદિર જવાનો રસ્તો પૂછ્યો હતો. રસ્તો બતાવ્યા બાદ સાધુએ તનસુખભાઈને નજીક બોલાવીને કહ્યું, 'તમને આશીર્વાદ આપું છું, મારી નજદીક આવીને મને નમસ્કાર કરો.'
તનસુખભાઈએ વિશ્વાસમાં આવીને સાધુની નજીક જઇ બે હાથ જોડી પ્રણામ કર્યા તો સાધુના વેશમાં રહેલો યુવક તનસુખભાઈએ પહેરેલી ચેઇન ખેંચીને ફરાર થઇ ગયો હતો. તનસુખભાઇએ કારચાલકનો પીછો કરી નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર નંબર પ્લેટ વગરની એક્સયુવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તનસુખભાઈએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નરોડામાં રહેતા કાળીદાસ બારોટ સવારના સાડા સાતેક વાગ્યાની આસપાસ આદિશ્વર કેનાલથી શાલીન શાળા તરફ જવાના રોડ પર ચાલતા જઇ રહ્યા હતા તે દરમિયાન સફેદ કલરની કારમાં આવેલા ત્રણ શખ્સોએ કાર તેમની પાસે ઊભી રાખી હતી. તેઓ નરોડા ગામ જવાનું કહીને સરનામું પૂછવા લાગ્યા હતા. કાળીદાસ જ્યારે સરનામું બતાવતા હતા તે દરમિયાન એક યુવક અચાનક જ તેમના ગળામાં હાથ નાખીને દોઢ તોલાની ચેઇન તોડીને નાસી ગયો હતો
થોડા દિવસ પહેલાં મણિનગરના જ કાંકરિયા ફ્રી પાર્કિંગ રોડ પર કારમાં નાગા બાવા સહિત આવેલા ત્રણ શખ્સો રાજેન્દ્રપ્રસાદ રાજોરા નામની વ્યક્તિને નજીકમાં ધાર્મિક જગ્યાનું સરનામું પૂછવાના બહાને દોઢ લાખની કિંમતનું કડું લઇને ફરાર થઇ ગયા હતા.
બીજી બાજુ સાબરમતી પોલીસ સ્ટેશનથી પ૦૦ મીટર દૂર કારમાં આવેલા નાગા બાવા અને તેના સાગરીતોએ વિસત હાઇવે દેવનંદન ઇન્ફિનિટી ટાવરમાં રહેતા બળવંતભાઈ ઠાકુર વહેલી સવારના ૬ વાગ્યે ચાલતાં ચાાલતાં છાપું લેવા જતા હતા. તેઓ મોટેરા જગન્નાથની ચાલી પાસે પહોંચ્યા ત્યારે એક કાર તેમની પાસે ઊભી રહી. પાછળ બેસેલા શખ્સે નાગા બાવાનો આશ્રમ ક્યાં છે તેવું પૂછ્યું હતું, જેથી બળવંતભાઈએ તેમને ખ્યાલ નથી તેમ કહ્યું હતું.
અજાણ્યા શખ્સે કહ્યું હતું કે આગળની સીટ પર નાગા બાવા બેઠા છે અને મોટા સંત છે. તેમનાં દર્શન માટે કરોડો લોકોની લાઇન લાગે છે, જેથી તમે દર્શન કરી લો. આગળ બેસેલા નાગા બાવાએ પહેલાં સોનાની વીંટી બળવંતભાઈ પાસેથી લઈ પોતાના હાથમાં પહેરીને પરત આપી દીધી હતી.ત્યારબાદ હાથમાં પહેરેલ સોનાની લકી અને વીંટી બંને કઢાવી પીછે મૂડ જા કહ્યું હતું, જેથી બળવંતભાઈ પાછળ ફરતાંની સાથે જ કારમાં આવેલા શખ્સો સોનાના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.