અમદાવાદઃ તહેવારોની સિઝનની સાથે હવે વાતાવરણમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી અમરેલી વડોદરા અને મહુવામાં નોંધાઈ છે. ત્રણ શહેરોમાં હાલ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં 1થી 2 ડિગ્રીનો વધુ તફાવત જોવા મળી શકે છે. મહત્વનું છે કે ગુજરાત પર વાવાઝોડાની કોઈ આડ અસર નથી દેખાઈ રહી છે. તેથી ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હટ્યું છે.
ગાજા વાવાઝોડાથી ગુજરાતને કોઇ નુકસાન નહીં
મહત્વનું છે કે ચક્રાવતી તોફાન ગાજાએ ભયંકરરૂપ ધારણ કરતા ઉત્તર તામિલનાડુ અને આંધ્રના દક્ષિણી કિનારાના વિસ્તારોથી પસાર થવાની સંભાવના છે. ત્યારે આ વાવાઝોડુ 15 નવેમ્બરના રોજ કુડ્ડલોર અને શ્રીહરિકોટાની વચ્ચે ટકરાઇ શકે છે. જો કે તેની કોઇ આડ અસર ગુજરાત પર નથી દેખાઇ રહી. ત્યારે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ નથી જણાઇ રહ્યું.
જમ્મૂ-કશ્મીરમાં ભારે હિમવર્ષા
જમ્મૂ-કશ્મીરમાં છેલ્લા કેટલાંક દિવસથી હિમવર્ષા થઈ રહી છે. કશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં સફેદી છવાયેલી છે. ત્યારે સહેલાણીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે કશ્મીરના રાજોરીમાં મુગલરોડ ખાતે ભારે હિમવર્ષાના પગલે જેસીબી દ્વારા બરફ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. હિમવર્ષાના પગલે સમગ્ર વિસ્તારમાં વાહન વ્યવહાર ઠપ થયો છે. જો કે હિમવર્ષા બાદ કશ્મીરના સૌંદર્યમાં પણ વધારો થયો છે. જ્યાં નજર પહોંચે ત્યાં બસ બરફ જ નજરે પડી રહ્યો છે.