CRPFના જવાન અને કોબ્રા કમાન્ડર અજીત પરમારનો મૃતદેહ કોડિનાર આવી પહોંચ્યો છે. જ્યાં ભારતમાતાકી જયના નારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
CRPFના કોબ્રા કમાન્ડરનો મોત મામલો
કમાન્ડરનો મૃતદેહ કોડીનાર પહોંચ્યો
10 કિમિ દૂર પેઢવાડા ગામેથી વિશાળ રેલી યોજી ફોજીને સન્માન અપાયું
CRPFના કોબ્રા કમાન્ડરનો પાર્થિવ દેહ આજે કોડીનાર પહોંચ્યો હતો જ્યાં 10 કિમિ દૂર પેઢવાડા ગામે થી વિશાળ રેલી યોજી ફોજી ને સન્માન અપાયું હતુ અને ભારત માતાની જયના નારા સાથે કમાન્ડોના પાર્થિવ દેહ ને તેમના ઘરે લઈ જવાયો હતો.
રાજપૂત સમાજમાં રોષ
કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં કોબ્રા કમાન્ડો અજિતસિંહ પરમારનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં વિવાદ ઉભો થયો હતો. રાજપૂત સમાજમાં કોબ્રા કમાન્ડોના મૃત્યુ મામલે રોષ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગ અને પોલીસની ઝાટકણી કાઢી છે અને તટસ્થ તપાસની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે. મૃત્યુની તપાસ અને પોસ્ટમોર્ટમમાં ઢીલાશ રાખ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
અજિતસિંહ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં પોતાના વતન કોડીનાર આવી રહ્યા હતા. 13 નવેમ્બરે અજિતસિંહ ટ્રેનમાં બેઠા પછી ટ્રેનમાં ગુમ થયા હતા. તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવતાં 14 નવેમ્બરના રોજ પરિવારજનોએ તેમના ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને ટ્વીટ દ્વારા કરી હતી. મૃતદેહ મળ્યાના 10 કલાકમાં જ મધ્યપ્રદેશની પોલીસે તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી નાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પરિવારજનોએ 14 નવેમ્બરના રોજ ફરિયાદ કરી
અજિતસિંહ દિલ્હી-વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી પોતાના વતન આવી રહ્યા હતા. પરિવારજનોએ 14 નવેમ્બરના રોજ ફરિયાદ કર્યા પછી 15 નવેમ્બરના રોજ સવારે રતલામ ડિવિઝન નજીક રેલવે-ટ્રેક પરથી તેંનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે RPF દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી. મૃતદેહનો ફોટોગ્રાફ્સ વ્હોટ્સએપથી પરિવારને મોકલાયો પછી પરિવારે તેમને ઓળખી બતાવ્યો હતો. જો કે સ્થાનિક પોલીસે અજિતસિંહના પરિવારને જાણ કર્યા વગર જ મૃતદેહને દફનાવી દેતાં અજિતસિંહના મૃત્યુને લઈને અનેક પ્રકારની શંકા ઊભી થઈ છે. આ અંગે પરિવારજનોએ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અને ન્યાય આપવા માગ કરી છે.