સેમીફાઇનલમાં હાર બાદ પહેલી વખત ધોનીની બોટિંગ ઓર્ડરને લઇને કોચ રવિ શાસ્ત્રીએ સફાઇ આપી છે. તેણે આ નિર્ણયનો બચાવ કરતાં કહ્યું, ''જો ધોની વહેલો આઉટ થઈ જાય તો ટીમ લક્ષ્યનો પીછો કરવામાં ફસાઈ જાત.''
ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં આખરે શા માટે ધોનીને સાતમા ક્રમે બેટિંગમાં ઉતારાયો એ સવાલ દરેક ભારતીય ક્રિકેટપ્રેમીઓ કરી રહ્યા છે. ચાહકોથી માંડીને ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી બહુ જ ગુસ્સામાં છે. સેમિફાઇનલમાં હાર બાદ પહેલી વાર ધોનીના બેટિંગક્રમ અંગે હેડ કોચ રવિ શાસ્ત્રીએ મૌન તોડ્યું છે. તેણે આ નિર્ણયનો બચાવ કરતાં કહ્યું, ''જો ધોની વહેલો આઉટ થઈ જાય તો ટીમ લક્ષ્યનો પીછો કરવામાં ફસાઈ જાત.''
એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતાં શાસ્ત્રીએ કહ્યું, ''ધોનીને સાતમા ક્રમે બેટિંગ માટે મોકલવાનો નિર્ણય આખી ટીમનો હતો અને એ એક આસાન નિર્ણય હતો. જો ધોની આગળના ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને તે જો આઉટ થઈ ગયો હોત તો રન ચેઝનો આખો પ્લાન જ બગડી જાત. અમને ધોનીના અનુભવની બાદમાં જરૂર હતી. તે દુનિયાનો સૌથી મોટો ફિનિશર છે. ટીમમાં બધાં એ ઇચ્છતાં હતાં કે ધોની બાદમાં બેટિંગ કરે.''
ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ સામેની એ મહત્ત્વપૂર્ણ સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ૨૪ રનના કુલ સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ એવું માનવામાં આવતું હતું કે ભૂતપૂર્વ કેપ્ટન ધોની બેટિંગમાં આવશે, પરંતુ હાર્દિક પંડ્યા મેદાનમાં આવ્યો હતો.
ગાવસ્કર અકળાયોઃ આઇસીસી વર્લ્ડકપ ૨૦૧૯માંથી ટીમ ઇન્ડિયા બહાર થઈ ચૂકી છે, પરંતુ પરાજયને લઈ પોસ્ટમોર્ટમ સતત ચાલુ જ છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર સેમિફાઇનલમાં ધોનીના બેટિંગ ક્રમથી ઘણો નારાજ છે. તેણે કહ્યું, ''ધોનીને સાતમા ક્રમે બેટિંગમાં મોકલવાનો નિર્ણય બહુ જ ચોંકાવનારો હતો.''
વિરાટે શું કહ્યું?: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ''શરૂઆતની કેટલીક મેચ બાદ એવો પ્લાન નક્કી કરાયો હતો કે ધોની નીચલા ક્રમના બેટ્સમેનો સાથે રમશે. ધોનીએ જાડેજા સાથે સારી બેટિંગ કરી. ટીમમાં યોગ્ય બેલેન્સ રાખવું જરૂરી છે. જો એક ખેલાડી હિટ કરી રહ્યો હોય તે બીજાએ વિકેટ બચાવીને રમવાનું હોય છે.''
ઉલ્લેખનીય છે કે ધોનીએ સેમિફાઇનલમાં ૭૨ બોલમાં ૫૦ રનની ઇનિંગ્સ રમવાની સાથે જાડેજા સાથે સાતમી વિકેટની ભાગીદારીમાં ૧૧૬ રન ઉમેર્યા હતા. આમ છતાં ટીમ ઇન્ડિયા જીતી શકી નહોતી.