સુરતની દુર્ઘટના બાદ વીટીવીએ શરૂ કરેલા ફાયર સેફ્ટિના રિયાલિટી ચેકમા તંત્રની વધુ એક વખત બેદરકારીનો પ્રર્દાફાશ કર્યો. નિકોલ બાદ કૃષ્ણનગરમાં પણ વિદ્યાર્થીઓ મોતનાં ભય નીચે અભ્યાસ કરી રહ્યાં છે. સરકારી શાળાની બાજુમાં જ તંત્ર દ્વારા સીએનજી પંપની મંજૂરી આપતાં ફરી વાર તંત્રની લાપરવાહી સામે આવી છે. બાળકોની સલામતીનાં ભોગે તંત્રએ સ્કૂલ પાસે જ CNG પંપને મંજૂરી આપીને પોતાનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે. તે જોઈએ આ અહેવાલમાં.
અમદાવાદનાં કૃષ્ણનગરમાં રહેણાંક વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ સંચાલિત આ પ્રાથમિક શાળા અને તેની બાજુમાં જ સીએનજી પંપનાં આ દ્રશ્યો જોઈને તમને પણ પાકી ખાતરી થઈ જશે કે તંત્ર અને સરકાર હજુ ઊંઘમાં છે. તમને થશે કે શું અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર પણ સુરત જેવા મોતના તાંડવની જ પ્રતીક્ષા કરી રહ્યું છે? કેમ કે આ પ્રાથમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. અહીં અભ્યાસ કરતાં બાળકો ગમે ત્યારે કશી દુર્ઘટના સર્જાશે તેવી દહેશત વચ્ચે અભ્યાસ કરી રહ્યાં છે. સીએનજી પંપમાંથી આવતા ધડાકા જેવાં અવાજો બાળકોનાં અભ્યાસમાં સતત વિક્ષેપ કરી રહ્યાં છે. ભાર વગરનાં ભણતરની વાત કરતી સરકાર બાળકોનાં દિમાગ પર ભયનો કેટલો ભાર છે તે વિદ્યાર્થીઓનાં મુખે જ સાંભળે.
જયારે આ સ્કૂલની બિલકુલ પાસે સીએનજી પંપની મંજૂર મળી અને તે શરૂ કરવામાં આવ્યો ત્યારે એક જાગૃત નાગરિકે અરજી કરી હતી. તે પછી લોકોનાં રોષને થોડા સમય શમાવવા માટે જ જાણે તંત્રએ સીએનજી પંપને સીલ માર્યુ. પરંતુ બે વર્ષ બાદ ફરી પંપ શરૂ કરવામાં આવ્યો. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, આ પંપની મંજૂરી કયા નીતિ-નિયમો હેઠળ આપી?
સ્કૂલ અને પંપની એક જ દીવાલ છે. જ્યાં ગેસનાં પ્રેશરની પાઈપો પસાર થઈ રહી છે અને તેમાંથી આવતા તીવ્ર અવાજોથી બાળકો પણ ડરી રહ્યાં છે. શાળામાં ભણવા આવતા બાળકોના વાલીઓ પર રોજ અજ્ઞાત ભયનીચેથી પસાર થઈ રહ્યા છે..અને એમાં પણ સુરતમાં સર્જાયેલી આગ હોનારત બાદ આવા સંવેદનશીલ વિસ્તારો પાસેની શાળાઓમાં ભણતા બાળકોનાં કયા વાલીઓ નિશશ્ચત રહી શકે? શાળામાં બાળકોની સુરક્ષાની જવાબદારી સરકારની બને છે. પરંતુ સરકાર અને તંત્ર ફરી સુરત જેવા અગ્નિકાંડની જાણે રાહ જોઈ રહ્યું છે તેવું આ સ્કૂલ પાસેનાં સીએનજી પંપ જોતાં લાગી રહ્યું છે.
સુરતમાં સર્જાયેલી આગ હોનારત જનમાનસમાંથી એમ ઝટ ભૂલી શકાય તેમ નથી. ત્યારે હવે શાળાઓ અને રહેણાંક વિસ્તાર પાસેના આવા સંવેદનશીલ એકમો પર જનતાનું ધ્યાન ચોક્કસ જશે જ અને સવાલ પણ ઉઠશે જ કે, સરકારી સ્કૂલની પાસે CNG પંપને કોણે પરવાનગી આપી? પરવાનગી આપતા સમયે તમે શું તપાસ કરી? દુર્ઘટના નહી જ સર્જાય તેની બાંયધરી લેશો? શું તંત્ર સુરતનાં અગ્નિકાંડની રાહ જુએ છે?