ગાંધીનગરથી પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ દરમિયાન CMO સચિવ અશ્વિનીકુમારે કેટલીક માહિતી આપી હતી. ખેડૂતોને કેટલીક મંજૂરી આપવામાં આવી છે. તો માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણ અંગે માહિતી આપી હતી. જ્યારે રાશન અને ખાતામાં જમા થવાની રકમને લઇને પણ માહિતી આપી હતી.
સમગ્ર દેશમાં કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કેટલીક સહાય અને છૂટછાટ આપવામાં આવી રહી છે. આ અંગે CMO સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, ખેડૂતોએ પાસ લેવાની જરૂર નથી. ખેડૂતોને પિયતની સગવડ મળી રહે તે માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે. બોરવેલ કરાવવા માટે ખેડૂતોને મંજૂરી મળશે અને બોરવેલની ગાડી સમગ્ર રાજ્યમાં જઇ શકશે.
અશ્વિનીકુમારે ખાતામાં જમા થનારી રકમ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 50 લાખથી વધુ પરિવારને આ યોજનાનો લાભ મળ્યો છે. 50 લાખ એકાઉન્ટમાં 500 કરોડ રૂપિયા જમા કરાવી દેવામાં આવ્યા છે. લાભાર્થીના એકાઉન્ટમાં સીધી રકમ જમા કરાવાઇ છે. દરેક લાભાર્થીના ડેટાબેઝ પ્રમાણે નાણાં જમા કરાવ્યા છે. આ એપ્રિલ મહિનાના 1 હજાર જમા કરાવ્યા છે.
અનાજ વિતરણ અંગે અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, 25મીથી અનાજ વિતરણની કાર્યવાહી શરૂ કરાઇ હતી. 35 લાખ જેટલા કુટંબને ઘઉં-ચોખાનું વિતરણ કરાયું છે. 30 એપ્રિલ સુધીમાં તમામ લાભાર્થીઓને રાશન આપી દેવામાં આવશે.
માર્કેટિંગ યાર્ડને લઇને અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, CMએ 15 એપ્રિલથી તબક્કાવાર રજિસ્ટ્રેશન કરાવીને માર્કેટિંગ યાર્ડને શરૂ કરવા છૂટ આપી હતી. 142 માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણની કામગીરી ચાલે છે. 8 લાખ 87 હજાર ક્વિનટલ અનાજની ખરીદી કરાઇ છે. આજે શાકભાજીનો 1.44 ક્વિન્ટલ જથ્થો આવ્યો છે. બટાકા અને ડુંગળીની પણ આવક સારી છે.