ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક નિવેદનમાં કહ્યું થુ કે અમારી પ્રાથમિકતા અત્યારે સૌથી પહેલા યુપીમાં કોરોનાને રોકવા માટે પ્રભાવી રણનીતિ લાગૂ કરવાની છે.
કોરોના સંક્રમણના કેસો યુપીમાં વધી રહ્યા છે
છેલ્લા અમુક દિવસોથી રાજ્યમાં દૈનિક કેસોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે
યુપી સીએમ યોગી આદિત્યનાથે કોરોના ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી
મહત્વનું છે કે છેલ્લા અમુક દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો નોંધાઈ રહ્યો છે, જેના પગલે અમુક રાજ્યોમાં ફરીથી લોકડાઉનની સંભાવનાની ચર્ચાએ વેગ પકડ્યો છે, મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવા અંગે ઘણા દિવસોથી બેઠકો થઈ રહી છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણમ કોરોનાના વધતાં કેસના આંકડાઓને પગલે લોકડાઉનની ચર્ચા શરૂ થઈ હતી, જેના પગલે યુપી સીએમ યોગી આદિત્યનાથે આજે એક નિવેદનમાં આ સંભાવનાને નકારી કાઢી હતી.
લોકડાઉન નહીં કરીએ
યુપી સીએમ આદિત્યનાથે કહ્યું હતું કે રાજ્યમાં અનિયંત્રિત કોરોનાવાયરસ ચેપની સ્થિતિને નિયંત્રણમાં રાખવા કડક ગાઈડલાઇન્સ જાહેર કરી છે. સોમવારે, એક મહત્વની બેઠકને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ ન તો લોકડાઉન કરશે કે ન લોકોને દુ:ખમાં મરવા દેશે. તેમણે કહ્યું કે, રાજ્યના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડની કોઈ અછત ન રહે તે સુનિશ્ચિત કરવાની અધિકારીઓની જવાબદારી છે.
'બેદરકારી બિલકુલ નહીં ચાલે'
મુખ્યમંત્રીએ યુપીમાં કોરોનાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે ખાનગી હોસ્પિટલો અને પ્રયોગશાળાઓને આગળ આવવા સૂચન કર્યું હતું, વધુને વધુ કોરોના ટેસ્ટિંગ, સંપર્ક ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ કહ્યું, 'ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને જરૂર પડે ત્યારે નિયંત્રણમાં લેવી પડશે, અમારી પ્રાથમિકતા કોરોનાના ફેલાવાને રોકવા માટે અસરકારક વ્યૂહરચના લાગુ કરવાની છે. આપણે સંપૂર્ણ તૈયારી સાથે કોરોના રોગચાળા સામે લડવું પડશે, કારણ કે આ લડતમાં કોઈ પણ પ્રકારની બેદરકારીની અવકાશ નથી.
ગયા વર્ષે તેમની સરકારના કોવિડ મેનેજમેન્ટની પ્રશંસા કરતી વખતે યોગી આદિત્યનાથે કહ્યું, 'ગયા વર્ષની જેમ આપણે પણ આ યુદ્ધ ખૂબ જ દમખમ સાથે લડવું પડશે. આ માટે, ઓક્સિજન સુવિધા સાથે વધુ બેડ જેવી સુવિધાઓ વધારવાની રહેશે.
'ફેક ન્યૂઝ પર કાર્યવાહી કરાશે'
ખાનગી હોસ્પિટલોમાં નિયત દરો કરતા વધારે ફી વસૂલવાની સામે નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, પીડિતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ખોટી અને ભ્રામક માહિતી આપનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એમ્બ્યુલન્સનો જવાબ 15 મિનિટમાં આપવાનો સમય નક્કી કર્યો છે.
કોરોના રિપોર્ટ આપવામાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં: સીએમ યોગી
મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે કોઈ પણ સંજોગોમાં કોરોના ટેસ્ટ રિપોર્ટ આપવામાં કોઈ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ સમય દરમિયાન, ખાનગી પ્રયોગશાળાઓની મદદ લેવાની અથવા તેમની સહાય સંપૂર્ણ રીતે મેળવવા અને તેમને જરૂરી રકમ ચૂકવવા સૂચન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં આરટી-પીસીઆર પરીક્ષણની ક્ષમતામાં 70% વધારો કરવાનો નિર્દેશ આપ્યો છે.