રામનવમીના સરઘસ દરમિયાન અમુક રાજ્યોમાં હાલ જ થયેલી હિંસા અને સંઘર્ષ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા આવી છે.
રામનવમીના અવસર પર યોગીની આવી પ્રતિક્રિયા
અનેક રાજ્યોમાં હિંસા અને તણાવની સ્થિતિ
દેશના સૌથી મોટા રાજ્યની કહી વાત
રામનવમીના સરઘસ દરમિયાન અમુક રાજ્યોમાં હાલ જ થયેલી હિંસા અને સંઘર્ષ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા આવી છે. તેમણે દાવો કર્યો છે કે યુપીમાં મોટી સંખ્યામાં વસ્તી હોવા છતાં પણ રાજ્યમાં કોઈ તણાવ નથી. તેમણે કહ્યું છે કે, રામનવમી દરમિયાન રાજ્યમાં અલગ અલગ જગ્યાએ સરઘસ કાઢવામાં આવ્યા હતા, જોકે એક પણ અપ્રિય ઘટના કે છમકલુ થયું નથી.
તેમણે આ સંબંધમાં એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, યુપીમાં 25 કરોડની વસ્તી રહે છે. 800 જગ્યા પર રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાથે સાથે હાલમાં રમઝાનનો પણ મહિનો ચાલી રહ્યો છે. ક્યાંય પણ તૂ-તૂ, મૈં-મૈં થઈ નથી. હિંસા અથવા તો રમખાણ તો દૂરની વાત. આ ઉત્તર પ્રદેશના વિકાસની નવી વિચારધારાને દર્શાવે છે. અહીં રમખાણો માટે કોઈ જગ્યા નથી. અરાજકતા, ગુંડાગીરી અને અફવા માટે કોઈ જગ્યા નથી.
અનેક રાજ્યોમાં રમખાણો થયાં
આપને જણાવી દઈએ કે, યોગી આદિત્યનાથનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે હાલમાં જ રામનવમીના અવસરે ગુજરાત, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં હિંસાના સમાચાર સામે આવ્યા હતા. આ હિંસામાં બે લોકોના મોત અને કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. મધ્ય પ્રદેશના ખરગોન શહેરમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થતાં રામનવમીની ઝુલૂસ પર પથ્થમારો કર્યા બાદ આગ અને હિંસા ફેલાઈ હતી. રાજ્યની ભાજપ સરાકરે 94 લોકોની ધરપકડ કરી છે અને સરઘસ પર કથિત રીતે પથ્થરમારો કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.