કોરોનાકાળમાં કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ
બાળકોને સહાય આપશે મુખ્યમંત્રી રૂપાણી
કોરોનાથી નિરાધાર બનેલા બાળકોને અપાશે સહાય
PM મોદીના જન્મદિવસે CMના હસ્તે સહાય અપાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ આગામી તા.17મી સપ્ટેમ્બરે વધુ 8 હજાર જેટલા નિરાધાર બાળકોને રાજકોટથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ડી.બી.ટી દ્વારા સહાય અપાશે કોરોનાકાળમાં કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ આપવાનું ઠરાવાયું હતું
સરકારની યોજના
કોરોના કાળમાં માતા-પિતા બન્ને ગુમાવેલા 1 હજાર બાળકોને માસિક રૂ. 4000ની સહાયનો લાભ અપાયો.તો માતા કે પિતા બંન્નેમાંથી કોઇપણ એકનું મૃત્યુ થયેલું હોય તેવા 4000 જેટલા બાળકોને માસિક રૂ. 2000ની સહાયનો લાભ રાજ્ય સરકારે આપ્યો છે.ઉલ્લેખનીય છે કે, યોજનાનો લાભ મેળવવા માટેની કટ ઓફ ડેઇટ કોરોનાના કેસોનું પ્રમાણ નહિવત થતા તા.30 જૂન-2021 કરવામાં આવી અરજી કરવાની તા. 31 ઓગસ્ટ-2021 સુધીની રાખવામાં આવી હતી.સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકની વય 18 વર્ષથી થતા સુધી આપવાનું યથાવત જ રહેશે.
બાળકોને ચૂકવાઈ સહાય -મંત્રી ઈશ્વર પરમાર
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા નિરાધાર બાળકોના ભાવિને સુરક્ષિત રાખવાની સંવેદના સાથે જુલાઇ-2021માં શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે કોરોના કાળ દરમ્યાન કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા બંન્નેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા 1000 ઉપરાંત બાળકોને માસિક રૂ 4 હજારની સહાય ચુકવવામાં આવેલી છે.
મુખ્યમંત્રીએ આ યોજના અંગે વધુ એક સંવેદનાપૂર્ણ અભિગમ દર્શાવતાં તા.28 મી જૂલાઇએ એવો નિર્ણય પણ કર્યો છે કે, આવી બિમારીથી જો કોઇ બાળકના માતા કે પિતા બેમાંથી કોઇ એકનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકને પણ માસિક રૂ.2 હજારની સહાય રાજ્ય સરકાર આપશે. તેમણે એમ પણ જણાવ્યું કે આવી આવેલી અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા બાળકોના કિસ્સામાં બાળકના માતા-પિતાનું મૃત્યુ કોરોના અથવા કોરોના દરમિયાન કોઇ ગંભીર બિમારીને કારણે થયું હોય તેવા વધુ 8 હજાર જેટલા બાળકોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા રાજકોટ ખાતેથી આવા બાળકોના બેંક એકાઉન્ટમાં ડી.બી.ટી.થી સહાય ચૂકવવામાં આવશે અને બાળકની વય 18 વર્ષની તથા સુધી માસિક સહાય નિયમિતપણે અપાશે.
અરજી માટે લંબાવી હતી તારીખ
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કેસોમાં તા.15 મી જૂન પછી ઉત્તરોત્તર ઘટાડો થતા અને તા.30મી જૂન સુધીમાં કોરોના કેસ અને મૃત્યુ દર નહિવત થઇ જવાથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભ માટેની કટ ઓફ ડેટ તા.30 જૂન-2021 નક્કી કરી હતી અને યોજનાનો લાભ મેળવવા માટે તા.31મી ઓગસ્ટ-2021 સુધીમાં અરજી કરી શકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.