વાયુ વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં વાયુ વાવઝોડાની સ્થિતિને લઈને ચર્ચા કરાઈ હતી. તેમજ અધિકારીઓ પાસેથી કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં વાવાઝોડાની સ્થિતિ અને આગામી કામગીરી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
વાયુ વાવાઝોડાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતથી આફત ટળી છે. ભગવાન સોમનાથ મહાદેવ, ભગવાન દ્વારકાધીશ અને હરસિદ્ધિ માતાની કૃપાથી વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. 'વાયુ' વાવાઝોડાએ ટર્ન લીધો. તેમ છતા પણ હજુ આપણે સતર્ક રહેવાનું છે. વાવાઝોડું જ નહીં પરંતુ વરસાદના કારણે કોઇ નુકસાની ન થાય તે માટે સજ્જ છીએ. NDRF અને PGVCLની ટીમ ખડેપગે છે. હજુ પણ તમામ ટીમો જેતે સ્થળે રહેશે. આવતીકાલે સવારે સમીક્ષા બેઠક બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. આવતીકાલે પણ 10 જિલ્લાની શાળાઓ બંધ કરવાનો નિર્ણય યથાવત્ રાખવામાં આવ્યો છે.
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને ચિંતા હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સતત સંપર્કમાં હતા. તેમણે મારી સાથે ફોન પર વાત કરી હતી. તમામ પરિસ્થિતિ વીશે તેમને જાણકારી આપવામાં આવી હતી. અને તમામ મદદ માટે તેઓ તૈયાર હોવાનું કહ્યું હતું.
વધુમાં સીએમએ કહ્યું કે, ભારે વરસાદ અને ભારે પવનની સંભાવનાને લઇને અલર્ટ છીએ. દરેક જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. તમામ ટીમો હજુ જેતે સ્થળે જ છે. નાના મોટા પ્રોબ્લેમ આવ્યા છે જે સોલ્વ કર્યા છે.
સીએમએ કહ્યું હતું કે, રાજ્યની જનતાએ ખુબ સહકાર આપ્યો છે. ગુજરાતની જનતાને આભાર માનીએ છીએ. સાથ એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ, મીડિયાનું કામ સરાહનીય રહ્યું છે. આપણે સૌએ ત્રણ દિવસના જંગમાંથી પાર ઉતરી ગયા છીએ.
વધુમાં તેમણે કહ્યું કે, દ્વારકા, પોરબંદર, વેરાવણ અને અમરેલી આ ચાર જિલ્લાઓ પર વધુ સાવચેતી રાખી રહ્યા છીએ. સાથે દરિયાકાંઠાના 10 જિલ્લાઓ પર પણ સજ્જ છીએ. સરકાર ખુબ જ એક્ટિવ થઇને નિરાકરણ લાવશે. જ્યાં 80 કિમીથી વધુ પવનની ઝડપ હતી, ત્યાં લાઇટ બંધ કરવાનો નિર્ણય પહેલાથી જ લેવાયો હતો. હાલ તમામ જગ્યાઓ પર ફરી લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. NDRF અને PGVCLની ટીમ ખડેપગે છે.