મુખ્યમંત્રી વિજય રૂપાણી તારીખ 16 અને 17 બે દિવસીય કેવડિયાની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે આજે તેમનું હેલિકોપ્ટર ભારે વરસાદના કારણે કેવડિયા ન ઉતરતા વડોદરા ઉતારવું પડ્યું હતું. જ્યાંથી તેઓ રોડ વાટે તેઓ કેવડિયા પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસે આવવાને છે. PMના પ્રવાસને પગલે ગાંધીનગરમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. નર્મદા નિગમના MD કે.કૈલાશનાથન પણ કેવડિયા પહોંચ્યા છે.
કેવડિયા પહોંચેલા મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નર્મદામાં પાણી વધવા એ કુદરતની ગુજરાત પર મહેર છે. SOU સાથેના સંલગ્ન પ્રોજેકટથી પ્રવાસનની નવી તકો ઉભી થશે.
1 મહિનામાં નર્મદા ડેમના 139 મીટર ભરવામાં આવશે
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. સરદાર સરોવરની જળ સપાટી 132.31 મીટરને પાર કરી ગઈ છે. ત્યારે કેવડિયા ખાતે કાર્યક્રમમાં CM રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિ જરૂરી નથી. તેમજ ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટર સુધી પાણી ભરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે, અગાઉ ડેમમાં 131 મીટરની સપાટી સુધી પાણી ભરવા નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ મંજૂરી આપી હતી. હાલ નર્મદા બંધનું કામ પૂર્ણ થઈ ગયું છે. આથી 131થી 139 મીટર સુધી પહોંચવા માટે તબક્કાવાર ડેમ ભરવાનો છે. 139 મીટર સુધીનું બાંધકામ નવું હોવાના કારણે તબક્કાવાર ડેમ ભરવાનો છે. આગળના 1 મહિનામાં નર્મદા ડેમને 139 મીટર સુધી ભરવાનું આયોજન છે. જો મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હજુ વરસાદ પડે તો 139 મીટર સુધી ડેમ ભરાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોનીમાં સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક કરશે. જ્યારે 17 ઓગસ્ટે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં અલગ અલગ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં અલગ અલગ વિકાસના કાર્યોનું લોકાર્પણ થવાનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયાને બે મહિનામાં બે વખત મુલાકાત લેશે. 13થી 15 સપ્ટેમ્બર સુધી વિદેશ નીતિને લઇને યોજાનારી રાષ્ટ્રીય કક્ષાને બેઠકમાં 15 તારીખે પીએમ મોદી ઉપસ્થિત રહેશે. બીજી વખત 31 ઓક્ટોબરના રોજ અલગ અલગ પ્રોજેક્ટના લોકાર્પણ માટે તેઓ કેવડિયા પહોંચશે.