મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે CM રૂપાણીએ પોતાની તબિયત અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. જ્યારે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા અપીલ કરી છે.
મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો છે: CM રૂપાણી
આજે CM રૂપાણીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ગઈકાલે વડોદરામાં સભામાં પડી ગયા હતા CM
કોરોના પોઝિટિવ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ અમદાવાદની UN હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે આજે તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તબિયત સારી છે ઝડપથી સારવાર થઈ રહી છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તેઓ પણ સ્વેચ્છાએ સાવચેતીના ભાગ રૂપે કોવિડ ટેસ્ટ કરાવે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થતા પક્ષ-વિપક્ષના નેતાઓ દ્વારા તેમના ઝડપી સાજા થવાની પ્રાર્થના કરવામાં આવી છે.
મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તબિયત સારી છે ઝડપથી સારવાર થઈ રહી છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તેઓ પણ સ્વેચ્છાએ સાવચેતીના ભાગ રૂપે કોવિડ ટેસ્ટ કરાવે.
ટુંક સમયમાં સ્વસ્થ થઇ, પુનઃજનકલ્યાણમાં સક્રિય થાય તેવી પ્રાર્થનાઃ અમિત શાહ
મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવતા ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણના કામોમાં સક્રિય થાય. મહત્વનું છે કે, ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ફોન કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખબર અંતર પૂછ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં.
હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણના કામોમાં સક્રિય થાય.
કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે સારવાર ચાલી રહી છેઃ DyCM નીતિન પટેલ
CM રૂપાણીનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે સારવાર ચાલી રહી છે. યુ.એન.મહેતા હોસ્પિટલમાં CMની સારવાર ચાલી રહી છે. એકાદ અઠવાડિયા સુધી તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે. CM રૂપાણીને બીપી કે ડાયાબિટીસની કોઈ જ તકલીફ નથી. તેઓ કસરત પણ નિયમિત કરે છે.
મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા તમામ લોકોના કરાશે કોરોના ટેસ્ટ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં આવેલા અને તેમને મળેલા તમામ લોકોનો કોરોના રિપોર્ટ કરાશે. મુખ્યમંત્રી રૂપાણીના સિક્યુરિટી જવાનોનો કોરોના ટેસ્ટ કરાશે. સીએમ રૂપાણીના નિવાસસ્થાને આવેલા કાર્યાલયને સેનેટાઇઝ કરાશે. સીએમ રૂપાણીના કાર્યાલય અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે. ઉપરાંત ભાજપ સંગઠનના હોદ્દેદારોનો પણ કોરોના ટેસ્ટ કરાશે. ત્યારે થોડા દિવસ પહેલા જ પાર્લામેન્ટરીબોર્ડની બેઠક મળી હતી. જેમાં પ્રદીપસિંહ જાડેજા, નીતિન પટેલ, જગદીશ પંચાલ, રંજન ભટ્ટ, ભરત ડાંગર સીએમને મળ્યા હતા.
ગઈકાલે વડોદરામાં સભામાં પડી ગયા બાદ CMને અમદાવાદ UN હોસ્પટિલ લવાયા હતા
ગઈકાલે વડોદરામાં ચૂંટણી ભાષણ આપતી વખતે CM રૂપાણી અચાનક ઢળી પડ્યા હતા. CMને તાબડતોડ પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીને કોરોના પોઝિટિવ હોવાનું જણાવાયું હતું. ગઇકાલે મુખ્યમંત્રીના સેમ્પલ લેવાયા હતા. મુખ્યમંત્રી 14 દિવસ ક્વોરન્ટાઇન રહેશે. તેમને સતત ડોકટરોની વિશેષ ટીમની નિગરાની હેઠળ રાખવામાં આવ્યા છે. તેઓ ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. મહત્વનું છે કે, સાંસદ વિનોદ ચાવડા અને ભીખુ દલસાણિયા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.