પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાત પેટાચૂંટણીમાં કુલ 58.14% મતદાન નોંધાયું છે. રાજ્યના તમામ 8 બેઠકો પર ઉમેદવારના ભાવી EVMમાં કેદ થયા છે. છેલ્લા કલાકોમાં પણ મતદારોમાં સામાન્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત વિધાનસભાની પેટા ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે. 10 નવેમ્બરે પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે. ત્યારે હવે પેટાચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, 'ભાજપ આઠેય બેઠકો પર જીતશે, કોંગ્રેસ હાર ભાળી ગઇ છે, કોંગ્રેસે લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે.' મહત્વનું છે કે, અમદાવાદમાં ડૉ. હેડગેવાર ભવનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.
પેટાચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું
અમે આઠે આઠ બેઠક જીતીશુઃ CM રૂપાણી
કોંગ્રેસ નિરાશ છે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છેઃ CM રૂપાણી
ગુજરાત પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને 58.14% જેટલું કુલ મતદાન નોંધાયું છે. ત્યારે પેટાચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભાજપ આઠેય બેઠકો પર જીતશે. ભાજપ સરકારની કામગીરીથી જનતા સંતુષ્ટ છે. કોંગ્રેસ હતાશ થઇ ગઇ છે અને હાર ભાળી ગઇ છે. કોંગ્રેસે લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મોહન ભાગવત વચ્ચે મુલાકાત થઇ
RSSના વડા મોહન ભાગવત અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે 8 બેઠકોની પેટાચૂંટણી પૂર્ણ થયા બાદ મુલાકાત થઈ હતી. અમદાવાદના મણિનગરના હેડગેવાર ભવનમાં આ મુલાકાત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવત ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. વિજય રૂપાણીએ તેમની સાથે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મતદારો-કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. રૂપાણીની મોહન ભાગવત સાથેની મુલાકાતે અનેક પ્રકારના તર્કવિતર્કો સર્જ્યા છે.
પેટાચૂંટણીના મતદાન બાદ CM રૂપાણીનું ટ્વિટ
CM રૂપાણીએ પેટાચૂંટણી બાદ ટ્વિટ કર્યું હતું. ટ્વિટ દ્વારા તમામ 8 બેઠકો પરના મતદાતાઓ અને ભાજપના કાર્યકર્તાઓનો મુખ્યમંત્રીએ આભાર માન્યો. સીએમએ કહ્યું કે, સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદાતાઓએ મતદાન કર્યુ છે. હું તમામ મતદાતાઓનો આભાર માનુ છું. સારૂ મતદાન સુચવે છે કે મતદાતાઓને ભાજપ પર વિશ્વાસ છે. મતદાતાઓ ભાજપની નીતિ-રીતિથી સંતુષ્ટ છે.
કુલ 81 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયા
ધારી, લીંબડી, મોરબી, અબડાસા, કરજણ, ગઢડા, ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. 8 બેઠકો પર 3024 જેટલા મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. કુલ 81 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયા છે. 419 માઈક્રો ઓબ્ઝર્વર અધિકારીઓ ફરજ આધીન રહ્યા. મતદાન પહેલા તમામ મતદાન કેન્દ્રો સેનેટાઇઝ કરાયા હતા.
ગુજરાત પેટાચૂંટણીમાં કુલ 58.14% મતદાન નોંધાયું
ડાંગમાં સૌથી વધુ 70 ટકાથી વધુ મતદાન
કપરાડામાં અંદાજિત 68 ટકા મતદાન
કરજણમાં અંદાજિત 67 ટકા મતદાન
અબડાસામાં અંદાજિત 60 ટકા મતદાન
લીંબડીમાં અંદાજિત 58 ટકા મતદાન
મોરબીમાં અંદાજિત 53 ટકા મતદાન
ગઢડામાં અંદાજિત 50 ટકા મતદાન નોંધાયુ
ધારીમાં સૌથી ઓછુ 43 ટકા જેટલુ જ મતદાન
મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નનુ નિવેદન
એસ.મુરલીક્રિષ્ને કહ્યું કે, રાજ્યની 8 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. ટીવી અને સોશિયલ મીડિયા મારફતે 19 ફરિયાદ મળી છે. 4 ઘટનામાં પોલીસે ગુના નોંધ્યા છે. જેમાં મોરબી 1, કરજણમાં 2 અને ડાંગમાં 1 પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કોવિડના કોઈ દર્દી મતદાન કરવા આવ્યા નથી.
ભાજપ અને કોંગ્રેસના પેટાચૂંટણીના ઉમેદવારોની યાદી
બેઠક
ભાજપના ઉમેદવાર
કોંગ્રેસના ઉમેદવાર
અબડાસા
પ્રદ્યુમનસિંહ જાડેજા
ડૉ.શાંતિલાલ સંઘાણી
મોરબી
બ્રિજેશ મેરજા
જયંતીલાલ પટેલ
ધારી
જે.વી. કાકડિયા
સુરેશ કોટડિયા
કરજણ
અક્ષય પટેલ
કિરીટસિંહ જાડેજા
ગઢડા
આત્મરામ પરમાર
મોહનલાલ સોલંકી
કપરાડા
જિતુ ચૌધરી
બાબુભાઈ વરઠા
ડાંગ
વિજય પટેલ
સૂર્યકાંત ગામિત
લીંબડી
કિરીટસિંહ રાણા
ચેતન ખાચર
આ 8 બેઠકો પર મતદાન
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી રાજ્યની અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા કુલ 8 બેઠકો પર મતદાન થયું હતું. જેનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.
8 MLAએ રાજીનામાં આપતા પેટાચૂંટણી
8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી બ્રિજેશ મેરજા, કપરાડાથી અક્ષય પટેલ, ગઢડાથી પ્રવીણ મારૂ, ધારીથી જે.વી કાકડીયા, કપરાડાથી જિતુ ચૌધરી, ડાંગથી મંગળ ગાવિત અને લીંબડીથી સોમા પટેલનું રાજીનામું આપ્યું હતું. આ ધારાસભ્યોના રાજીનામાના કારણે 20 સપ્ટેમ્બરે ચૂંટણી પંચે આ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી.