લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રાહુલ ગાંધીની જાહેરાત બાદ મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી.
જેમાં તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ગાંડીઘેલી વાતો કરી રહ્યાં છે. કેન્દ્રમાં કોઇ રાજ્યનું અલગ બજેટ હોઇ જ ન શકે. મત મેળવવા માટે કોંગ્રેસ ગમે તેવી વાતો કરી રહી છે. દેશની જનતા આવી વાતોને ગંભીરતાથી નથી લેતો.
વધુમાં તેમણે કહ્યું કે, ચૂંટણીનું વાતાવરણ દર ચૂંટણીએ અલગ અલગ હોય છે. ગત વખત મોદીનું વાવાઝોડું હતું આ વખતે સુનામી છે. ત્રણ રાજ્યોમાં ચૂંટણી વખતે ઇવીએમ સારા હતા. હવે કોંગ્રેસ હાર ભાળી ગઇ છે એટલે તે ઇવીએમની વાતો કરે છે. તેમણે કહ્યું કે, અહેમદ પટેલ બધુ સમજે જ છે.
ન્યાય યોજના મામલે રૂપાણીએ કહ્યું કે, રાહુલગાંધીએ કોઇ ગણિત આપ્યું નથી કે ક્યાંથી પૈસા આવશે? કેટલા ગરીબ? આ તેમનું ખોટુ વચન છે. તેમણે ગરીબોને માત્ર 75 હજાર આપવાના કિધા પરંતું અમે ગરીબોને લાખો રૂપિયા આપીએ છીએ. અમૃતમ અને વાત્સલ્ય યોજનાઓમાં લોકોને લાખો રૂપિયા આપીએ છીએ. 2600 કરોડ રૂપિયા પાક વીમો અમારી સરકારે આપ્યો છે.
આતંકવાદી હુમલા મામલે તેમણે કહ્યું કે, આપણે એર સ્ટ્રાઇક કરી અને ત્રણ દિવસ ટેન્શન હતું. ભારત-પાકિસ્તાન યુદ્ધની શક્યતા હતી. ત્યારે પ્રેસમાં આવતું જ હતું કે કેન્દ્રના ગુપ્તચરોએ ગુજરાતને માહિતી આપી કે ગુજરાતમાં હુમલો થશે. તેથી અમે મીટિંગ બોલાવી, સજાગતા હતી. કોંગ્રેસમાં કોઇ ગંભીર પણ ન હતા. હુમલા થાય તો એ માટે એક્શન લેવું પડે જે ઉરી અને પુલવામામાં મોદીએ જવાબ આપ્યો હતો. મોદીએ ધાક ઉભી કરી છે.