પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીનું 24 ઓગસ્ટના રોજ 66 વર્ષની વયે નિધન થયું હતું. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનો ગુજરાત સાથે જૂનો નાતો રહ્યો છે. જેથી 5 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે તેમને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.
સ્વ. અરૂણ જેટલીના સ્વજન દ્વારા અમદાવાદમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર બીજલબેન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે સાથે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ભારતી આશ્રમના ભારતી બાપુ સહિત સંતો મહાત્માઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને અરુણ જેટલીને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે અરુણ જેટલીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જ્યારે 6 સપ્ટેમ્બરે કરનાળીના સોમનાથ ઘાટ પર નર્મદામાં અરૂણ જેટલીના સ્વજનો દ્વારા અસ્થિનું વિસર્જન કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવંગત નેતા અરૂણ જેટલીને યાદ કરતા કહ્યું હતું કે "તેમનો ગુજરાત સાથેનો સંબંધ અનોખો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે પણ તેમણે ભાજપ માટે જવાબદારી ઉપાડી હતી. આ ઉપરાંત ગુજરાતના અનેક લોકો સાથે તેમનો સારો એવો સંબંધ રહ્યો હતો."
દેશભરમાં અરૂણ જેટલીના નિધનથી લોકો શોકમાં ડુબ્યા હતા. ત્યારે આદર્શ ગ્રામ યોજના હેઠળ અરૂણ જેટલીને દત્તક લીધેલ ગામ કરનાળીમાં પણ શોકનો મહોલ છવાયેલ છે.
ગુજરાતના નેતાઓ, પ્રબુદ્ધ નાગરિકો, વેપારી મહામંડળ, વિવિધ મહાજનો, સંગઠનો, કાયદાશાસ્ત્રી, કર્ણાવતી ક્લબ અને સમગ્ર ગુજરાત વતી હૃદયાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરૂણ જેટલીના પરિવારજનો અને નજીકના સંબંધી-મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આવતીકાલે નર્મદાના કાંઠે આવેલ કરનાળી ગામે તેમના અસ્થિનું પરિવાર દ્વારા વિસર્જન કરવામાં આવશે.
મહત્વનું છે કે, એક જ મહિનામાં ભાજપે બે દિગ્ગજોને ખોયા છે. ત્યારે અરૂણ જેટલીનો ગુજરાત સાથેનો સંબંધ ખુબ જૂનો રહ્યો છે. તેઓ 4 ટર્મ સુધી ગુજરાતના રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. ગુજરાતના વિકાસ મોડેલને પણ દેશ-વિદેશમાં સારી રીતે રજૂ કર્યું હતું.