કચ્છઃ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને 16 ટકા અનામત આપ્યા બાદ ગુજરાતમાં પણ આ પેટર્ન પ્રમાણે અનામત આપવાની માગ કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે કચ્છમાં મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની નિવેદન આપ્યું હતું. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર મરાઠા અનામત પેટર્નનો અભ્યાસ કરશે.
તેમણે કહ્યું કે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર સરકાર પાસેથી તમામ વિગતો મંગાવી છે. મરાઠાઓને અનામત અંગેના સર્વેનો જે રિપોર્ટ છે તેની તમામ માહિતી મંગાવવામાં આવી છે. જેનો અભ્યાસ કરવામાં આવશે.
અનામત મુદ્દે હાર્દિક પટેલનું નિવેદન
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળવા મુદ્દે હાર્દિક પટેલે જણાવ્યું કે જો મરાઠાઓને અનામત મળી શકે તો તે જ માર્ગે પાટીદારોને પણ અનામત મળી શકે છે. ગુજરાત સરકારે આ માટે પાટીદારોનો સર્વે કરવો જોઈએ. એક કમિટીની રચના કરીને તેના આધારે અનામતની ફોર્મ્યૂલા નક્કી કરવી જોઈએ. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે બે દિવસમાં પાટીદારોની મિટીંગ છે. ઓબીસી કમિશનમાં આ અંગે રજૂઆત કરીશું.
રાજ્યમાં ફરી અનામતની ઉઠી માગ
મહારાષ્ટ્રના મરાઠાઓને મળેલી અનામતની બાદ ગુજરાતમાં પાટિદાર અનામતની માગ ફરીથી ઉઠી છે. પાટીદારોને અનામત મળે તે માટે અનામત આંદોલન સમિતીના પ્રતિનિધિઓ ગાંધીનગર OBC કમિશનની ઓફિસે પહોંચ્યા હતા. આગેવાનોએ કમિશનના અધ્યક્ષ પાસે સમય માગ્યો હતો.