રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાક સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હજી પણ વડોદરામાં વરસાદનું સંકટ ટળ્યુ નથી. 24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે છે. જેને લઇને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વડોદરાની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા છે.
વડોદરા શહેરમાં 60 કલાક બાદ પણ સ્થિતિ કાબુમાં નથી આવી. હજુ અડધું વડોદરા પાણીમાં છે અને વીજળી તથા પાણી માટે પણ લોકોને ફાંફા પડી રહ્યા છે. ત્યારે પોતાના જન્મદિવસે CM વિજય રૂપાણી જ્યારે DyCM નીતિન પટેલ વડોદરા પહોંચ્યા છે. અહીં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ સમીક્ષા કરશે. ત્યારે અનેક નેતાઓ પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે
વડોદરા પહોંચેલા DyCM નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વાહન વ્યવહાર ફરી કાર્યરત થઇ રહ્યો છે. પાણીનો નિકાલ ઝડપથી થઇ રહ્યો છે. એરપોર્ટ કાર્યરત થઇ ગયું છે. દૂધની સપ્લાય પણ શરૂ થઇ ચૂકી છે. સયાજી હોસ્પિટલમાં ક્યાંય પણ પાણી ભરાયુ નથી. દર્દીઓને હોસ્પિટલ તરફથી ભોજન આપવામાં આવ્યું. આજે વરસાદ ઓછો હોવાથી પાણીનો નિકાલ ઝડપથી થઇ રહ્યો છે. NDRFની જરૂરીયાત હશે ત્યાં સુધી રહેશે. રોગચાળો ન ફાટી નીકળે એ માટે આરોગ્ય વિભાગ સક્રિય. સારવાર માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જનજીવન થાળે પડે એ માટેની તમામ વ્યવસ્થા કરાઇ રહી છે.
મહત્વનું છે કે, આ સમગ્ર મામલે ચીફ સેક્રેટરી જે.એન.સિંહે નિવેદન આપ્યુ હતું. જેમાં તેમણે રેસ્કયુ કાર્યવાહી, રોડ રસ્તાની સફાઈ કામગીરી તેમજ મેડિકલ ટીમોની કાર્યવાહી અંગે માહિતી આપી હતી.
પૂરની સ્થિતિને લઈને જીતુ વાઘાણીએ કર્યુ નિરીક્ષણ
ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વડોદરાની મુલાકાત લીધી હતી. વડોદરામાં સીટી કમાન્ડ કંટ્રોલ રૂમની જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પૂરની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ. વડોદરાની મુલાકાત દરમિયાન જીતુ વાઘાણીએ પૂરની સ્થિતિને લઈને નિરીક્ષણ પણ કર્યુ હતું.
વડોદરામાં વાડીના ધારાસભ્ય મનીષાબેનનો વિરોધ
વડોદરાના વાડીના ધારાસભ્ય મનીષાબેનનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. પોતાના વિસ્તારની મુલાકાતે જતા સ્થાનિકોએ ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો. શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તે સમયે ધારાસભ્ય ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. તારાજી વખતે ધારાસભ્ય વ્હારે ન આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જેને લઈને સ્થાનિકોએ ધારાસભ્યનો વિરોધ કર્યો હતો.
લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહી છેઃ યોગેશ પટેલ
વડોદરામાં પરિસ્થિતિને લઇ રાજ્ય મંત્રી યોગેશ પટેલે કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. શહેરની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. યોગેશ પટેલે સીસીટીવી ફૂટેજના આધારે શહેરનો તાગ મેળવ્યો. ત્યારે આ દરમિયાન રાજ્ય મંત્રી યોગેશ પટેલે કહ્યું કે, ભારે વરસાદના કારણે વડોદરાની આ સ્થિતિ બની છે. ત્યારે લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે કામગીરી કરાઇ રહી છે. હવે પાણી ઓસર્યા બાદ સફાઇની કામગીરી પણ શરૂ કરી દેવાશે.