આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યભરમાં ચોમાસું પાછુ ખેંચાઇ જતાં ખેડૂતોની ચિંતાને લઇને ચર્ચા કરવામાં આવશે. જ્યારે બીજી તરફ ડે. સીએમ નીતિન પટેલ દ્વારા અષાઢી બીજના દિવસે કરવામાં આવેલી જાહેરાતને લઇને નર્મદા ડેમનું પાણી કેનાલમાં સિંચાઇ માટે છોડવા મુદ્દે પણ વિચારણા થઇ શકે છે.
જ્યારે બીજી તરફ અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટવાની દૂર્ઘટનાનો મુદ્દો પણ કેબિનેટમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. કાંકરીયા રાઇડસ તૂટવા મામલે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે સંચાલકથી લઈને તમામ જવાબદારોની ધરપકડ કરવામાં આવી છે. આ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે આગામી સમયમાં રાજ્યભરમાં નવી સરકારી ખાતાઓમાં ભરતી કરવા અંગે કેબિનેટની બેઠકમાં વિચારણા થશે. ઓમ પ્રકાશ કોહલી નિવૃત્ત થતાં ગુજરાતના નવા રાજ્યપાલની નિમણુક કરી લેવામાં આવી છે. આચાર્ય દેવવ્રતને ગુજરાતના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ત્યારે નવા રાજ્યપાલના સ્વાગતની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવશે.
બનાસકાંઠામાં તીડના વધતા જતા આતંકને લઇ ખેડૂતો પરેશાન છે. સેંકડો એકરમાં પથરાયેલો ખરીફ પાક તીડના કારણે સાફ થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડીની બે ટીમ બનાસકાંઠા મોકલવામાં આવી હતી. ત્યારે ઉત્તર ગુજરાતમાં તીડ આક્રમણ પર ટીમની કામગીરીને લઇને સમીક્ષા હાથ ધરાશે.