તૌક્તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂતોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું
મુખ્યમંત્રી દ્વારા 105 કરોડના રાહત પેકેજની જાહેરાત
ઈતિહાસમાં પહેલી વખત સરકારે માછીમારો માટે આપી આટલી મોટી સહાય
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં તૌક્તે વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂતો અને 105 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ. પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશ્નર ડી.પી.દેસાઇએ આ કોર કમિટીમાં રજૂ કરેલા વિસ્તૃત પ્રેઝેન્ટેશનની વિવિધ બાબતોનો અભ્યાસ કરીને આ રાહત પેકેજ જાહેર કર્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સાગરખેડૂ-માછીમારોને તૌક્તે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુક્સાનમાંથી પૂર્ન:બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ દરિયાકાઠાંના અસરગ્રસ્ત વિસ્તારોની તેમની પોતાની મુલાકાત દરમ્યાન પણ અનેક સાગરખેડૂ પરિવારોએ તૌક્તે વાવાઝોડાને કારણે તેમનો આજીવિકાનો આધાર એવી મત્સ્ય પ્રવૃતિઓ માટેના મુખ્ય આધારસ્તંભ એવી ફિશિંગ બોટ, મત્સ્યજાળ-ફિશિંગનેટ, ટ્રોલર વગેરેને થયેલા મોટા નુક્શાનની વાત કરી હતી. વાવાઝોડાના કારણે ઉભા પાકને નુકશાન થવાના કારમે અગાઉ પણ રાજ્ય સરકારે ખેડૂતોની સહાય માટે 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ જાહેર કરેલી રાહત કઈ રીતે મળશે?
બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે.
અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 35,000 સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે
જો નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.
અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં 50% અથવા 2 લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય અપાશે.
આ ઉપરાંત રૂપિયા 5 લાખ સુધીની લોન કોઇ માછીમાર લે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે
પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.
આ ઉપરાંત રૂપિયા 10 લાખ સુધીની લોન પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે
જો માછીમારો અંશત: નુકશાન પામેલ મોટી બોટની મરામત માટે 5 લાખ સુધીની બેંક લોન મેળવે તો તેના પર વાર્ષિક 10% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે રાજ્ય સરકાર ચૂકવશે
તેજ રીતે પૂર્ણ નુકશાન પામેલી મોટી બોટની મરામત માટે 10 લાખ સુધીની બેંક લોન માછીમારો દ્વારા મેળવવામાં આવે તો તેના પર વાર્ષિક 10% સુધીની વ્યાજ સહાયબે વર્ષ માટે રાજ્ય સરકાર ચૂકવશે
આમ, તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યમાં આશરે 1000 નાની મોટી બોટને થયેલા નુકશાન સામે રાજ્ય સરકાર સહાય પેકેજમાં સુચવેલા ધારાધોરણ અનુસાર માછીમારોને રૂપિયા 25 કરોડ સહાય ચૂકવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, તૌક્તે વાવાઝોડા દરમ્યાન દરિયાકાઠાના કેટલાક બંદરોની માળખાકીય સુવિધાઓને થયેલા નુકશાનની મરામત અને નવિનીકરણ માટે પણ આ પેકેજમાં વિચાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના દરિયાકાંઠાના જાફરાબાદ, નવાબંદર, સૈયદ રાજપરા અને શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા નુકશાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં જે જોગવાઇઓ કરવામાં આવી છે તે આ મુજબ છે.
જાફરાબાદ
હયાત જેટીનું વિસ્તરણ કરી 500મી. લંબાઈની નવી જેટી બનાવવામાં આવશે.
બ્રેક વોટરની દુરસ્તી.
લાલબત્તી વિસ્તારમાં વાર્ફ વોલ સાથેની પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવશે.
ટી-જેટી વિસ્તારમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવશે.
હયાત જેટીની સરફેસમાં તેમજ ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત કરવામાં આવશે.
શિયાળબેટ
નુકશાન થયેલ જેટીને દુરસ્તી તથા વિસ્તરણ કરી આપવામાં આવશે.
ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત કરવામાં આવશે.
સૈયદ રાજપરા
વાર્ફ વોલ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ કરવામાં આવશે.
ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત કરવામાં આવશે.
નવાબંદર
જેટી, બોલાર્ડ અને સ્લોપ પિચિંગને થયેલ નુકસાનની મરામત કરવામાં આવશે.