રાહુલ ગાંધીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ પર કરેલી એક ટ્વીટે ભારે વિવાદ સર્જ્યો છે. ભાજપના સમર્થકોએ ટ્વીટને ગુજરાત વિરોધી ગણાવ્યું તો સામે પક્ષે કોંગ્રેસના સમર્થકો રાહુલના ટ્વીટના બચાવમાં ઉતરી પડ્યા છે.
જો કે રાહુલના ટ્વીટ પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને આકરો જવાબ ટ્વીટથી જ આપ્યો. રાહુલે ટ્વીટમાં લખ્યું હતું નારાજ રોકાણકારો વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માગતા નથી. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ સમિટમાંથી હવે તેમણે ખસી જવાનો નિર્ણય લીધો છે.
રાહુલના આ ટ્વીટ પછી મુખ્યમંત્રી રૂપાણીનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો અને તેમણે પણ ટ્વીટ કરીને રાહુલ ગાંધીને જવાબ વાળ્યો. રૂપાણીએ લખ્યું કે તમે જૂઠ્ઠા અને બેશરમ વ્યક્તિ છો. ગુજરાતમાં 2017 વિધાનસભાની ચૂંટણી હાર્યા પછીની તમારી હતાશા ટ્વીટમાં દેખાય છે.
તમે ગુજરાતને કેટલી નફરત કરો છો તે ગુજરાતીઓ બરાબર જાણે છે અને એટલા માટે જ તમારા પક્ષની ગુજરાતમાં સતત હાર થતી રહે છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાંથી બ્રિટન ખસી ગયું હોવાના એક અહેવાલનો સંદર્ભ લઈને રાહુલ ગાંધીએ આ ટ્વીટ કરી હતી.
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં 18 થી 20 જાન્યુઆરી દરમિયાન નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે જેમાં 16 દેશો ભાગીદાર છે. અમેરિકા પછી બ્રિટન હવે કંટ્રી પાર્ટનર તરીકે ભાગ નહી લે તેવા સમાચારો અંગે રાહુલના ટ્વીટથી આ ઘમાસાણ મચ્યું છે.