અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ નામથી ઓળખાતા સ્ટેડિયમનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું. નામકરણથી સર્જાયો વિવાદ...
સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવા મુદ્દે વિવાદ
અત્યાર સુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું
સ્ટેડિયમનું નામ બદલવાના વિવાદ મુદ્દે CMએ કહ્યું- સંકુલનું નામ સરદાર પટેલ જ છે
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમ(સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ)નું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં હવે આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદીના નામે ઓળખાશે. ત્યારે હવે સ્ટેડિયમનું નામકરણ થતા જ કોંગ્રેસે ભાજપ, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પર વાકપ્રહાર કર્યા હતા. ત્યારે હવે આ વિવાદને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો છે.
સ્ટેડિયમનું નામ બદલવાના વિવાદ મુદ્દે CMએ કહ્યું- સંકુલનું નામ સરદાર પટેલ જ છે
મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાના વિવાદને લઇને CM રૂપાણીએ કોંગ્રેસને જવાબ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સંકુલનું નામ સરદાર પટેલ જ છે. માત્ર સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે. કોંગ્રેસે સરદાર પટેલને હાંસિયામાં ધકેલ્યા હતા. કોંગ્રેસનો સરદાર પર બોલવાનો અધિકાર નથી.
મોટેરા સ્ટેડિયમનું કોઇ નામ હતું જ નહીંઃ નીતિન પટેલ
મોટેરા સ્ટેડિયમના નામને લઇને વિવાદ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુલાસો આપ્યો છે. નીતિન પટેલે કહ્યું કે, GCAએ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપ્યું છે. કોંગ્રેસે ભરમાવવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમના નામે ઓળખાતું હતું. સ્ટેડિયમ બનાવવામાં અમિત શાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. GCA(ગુજરાત ક્રિકેટ એસોસિએશન)એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ રાખ્યું છે. સરદાર પટેલનું નામ પણ રમત-ગમત સાથે જોડવામાં આવ્યું છે. સરદાર પટેલ રમત-ગમત સંકુલનું પણ ખાતમુહૂર્ત કરાયું છે. તમામ રમતો માટે વ્યવસ્થા કરવામાં આવશે. ભારત સરકાર પણ સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલમાં મદદ કરશે. બે મહાન નેતાઓએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
નીતિન પટેલે કહ્યું કે, મોટેરા સ્થિત સ્ટેડિયમ મહાનગરપાલિકાના હકનું છે. આ સ્ટેડિયમ લોકો અને ખેલાડીઓને અર્પિત કર્યું છે. મોટેરા વિસ્તારમાં આવેલું હોવાથી તે હજુ સુધી મોટેરા સ્ટેડિયમના નામે ઓળખાતું હતું. તેનું નામ આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાયું છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. વર્ષ 2004માં તેઓ પ્રમુખ હતા તે સમયે તેમણે નક્કી કર્યું હતું કે આ જૂનું સ્ટેડિયમ છે તે જગ્યાએ મોટુ અને સુવિધા જનક સ્ટેડિયમ બનાવવાનો સંકલ્પ લીધો હતો. જે તેમણે પૂર્ણ કર્યો છે. આ સ્ટેડિયમનું કોઇ નામ હતું જ નહીં. અમદાવાદમાં અન્ય એક સરદાર પટેલ સ્ટેડિયમ છે તે નાનું અને લોકલ મેચ માટે છે. આજે સમગ્ર ગુજરાત અને ભારતને ખુશી થાય છે કે, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં છે. આ સિવાય સ્ટેડિયમની બાજુમાં ક્રિકેટ સિવાયની સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સારૂ ટ્રેનિંગ અને સુવિધા માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું રાષ્ટ્રપતિએ ઉદ્ધાટન કર્યું છે. તે પણ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ અંતર્ગત આવી જશે.
વધુમાં તેમણે કહ્યું કે, રમતગમત વિભાગે 250 કરોડ જેટલી રકમ રાખી છે. તેમાંથી અમિત શાહના વિસ્તાર નારણપુરામાં ક્રિકેટ સિવાય ગેમ્સ માટે સેન્ટર બનશે. તેને પણ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ અંતર્ગત રખાયું છે.
નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ શાસનમાં અનેક નેતાઓનું અપમાન કરાયું છે. સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, આંબેડકરનું નામ કોંગ્રેસ ભૂસવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ યુવાનોને ભરમાવવાનો પ્રયાસ કર્યો. દેશને આઝાદી નહેરૂ પરિવારે જ આઝાદી અપાવી તેવું ઠસાવવા પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે સરદાર પટેલને ભારત રત્ન એવોર્ડ ન આપ્યો. બાબાસાહેબને પણ ભારત રત્ન એવોર્ડ ન આપ્યો. કોંગ્રેસ મહાન નેતાઓનું અપમાન કર્યું છે.
મોટેરા સ્ટૅડિયમનું નામ નરેન્દ્ર મોદી થતાં જુઓ રાહુલ ગાંધીએ કર્યો કેવો કટાક્ષ
દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીને નામે કરવામાં આવ્યાં બાદ કોંગ્રેસ નેતા રાહુલે ગાંધીએ ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો. રાહુલે ટ્વિટ કરીને કટાક્ષ કરતા જણાવ્યું કે ખૂબ જ સુંદર કે કેવી રીતે સત્ય પોતાની મેળે જ પ્રગટ થયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ- અદાણી એન્ડ-રિલાયન્સ એન્ડ અને જય શાહ તેના પ્રમુખ.
આત્મમોહની પરકાષ્ઠાઃ પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાઁધીએ પણ ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર મોદીના જીવનમાંથી પ્રેરણા લઈને મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું છે. આત્મમોહની પરકાષ્ઠા. આ વિશ્વની પહેલી એવી ઘટના છે કે જેમાં જીવતા વ્યક્તિને નામે કોઈ જાહેર સંપત્તિનું નામકરણ કરવામાં આવ્યું છે. મેગાલોમેનિયાક.
મોટેરા સ્ટેડિયમનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
અમિત ચાવડાએ કહ્યું કે, અહંકારી શાસષકો ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસે સ્ટેડિયમને સરદારનું નામ આપ્યું હતું. સરદાર પટેલનું નામ બદલી નરેન્દ્ર મોદી કરનારાઓને ગુજરાત માફ નહી કરે. રાજકીય મહત્વકાંક્ષા પૂરી કરવા વિશ્વ વિભૂતિનું નામ મિટાવી દીધું. એરપોર્ટ બાદ હવે સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. અહંકારી શાસકોએ જવાબ આપવો પડશે. કોંગ્રેસ સખત શબ્દોમાં આ પગલાને વિરોધ કરે છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું ટ્વિટ કરીને લખ્યું કે, આ સરદાર સાહેબનું નહીં પણ ગુજરાતનું અપમાન છે. ભાજપનો સત્તાના અહંકારમાં ઇતિહાસ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસના સમયમાં સ્ટેડિયમનુ નામ સરદાર સાહેબ સાથે જોડાયું હતું. આ હરકતને ગુજરાત સહન નહીં કરે.