જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દર્દીઓના સગાઓની મુલાકાતે પહોંચ્યા, લોકોની સમસ્યા સાંભળવા CMએ જમીન પર બેસીને વાત કરી હતી
જામનગર કોવિડ દર્દીઓના સબંધીઓની મુલાકાતે CM
સંબંધીઓ માટેના મંડપમાં પહોંચ્યા મુખ્યમંત્રી
CMએ જમીન પર બેસી લોકોની સમસ્યા સાંભળી
કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા CM રૂપાણી અને DyCM નીતિન પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દર્દીઓના સગાઓની મુલાકાતે પહોંચ્યા હતા. તો આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દર્દીઓના સગાઓ સાથે ચર્ચા કરવા જમીન પર બેસી ગયા હતા. લોકોની વાત સાંભળવા માટે સરળતાથી જમીન પર બેસીને લોકોની મુશ્કેલી સાંભળી હતી. કોરોના વોરિયર્સ આરોગ્યકર્મીઓ સાથે પણ ચર્ચા કરી હતી.
જામનગરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે CM રૂપાણીએ જામનગરના તંત્ર સાથે બેઠક યોજી હતી. જેમાં CM રૂપાણીએ કહ્યું, જામનગરમાં તમામ સુવિધાઓ પૂર્ણ કરવામાં આવશે. 350 બેડની અલગ ફાળવણી કરવામાં આવશે. ખંભાળિયા હોસ્પિટલમાં 200 બેડની વ્યવસ્થા કરાશે. વેક્સિનેશનનો જથ્થો વધારવામાં આવશે. સાથે જ કહ્યું કે કુંભ મેળામાં ગયેલા તમામ ભાવિકોના કોરોના ટેસ્ટ થશે. તમામ ભાવિકો સામે આવી ટેસ્ટ કરાવે.
ગુજરાતમાં કોરોના રોજ નવા નવા રેકોર્ડ બનાવે છે. ગઈકાલે 24 કલાકમાં 94 લોકોના કોરોનાથી મોત થયા હતા અને 8,920 નવા કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાના ખોફથી લોકોની માનસિક સ્થિતિ ન બગડે એ માટે સીએમ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાત્રી કર્ફ્યૂ દરમિયાન 108ના સાયરન વગાડવા પર પ્રતિબંધ
રાત્રી કર્ફ્યૂ દરમિયાન એમ્બ્યુલન્સનું સાયરન વગાડી શકાશે નહીં. રાત્રી કર્ફ્યૂ દરમિયાન 108નું સાયરન હવે સંભળાશે નહીં. એટલું જ નહીં પણ ખાનગી એમ્બ્યુલન્સના સાયરન વગાડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જોકે, હાલ રાજ્યમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. એક તરફ લોકો કોરોનાથી ડરેલા છે ત્યારે સતત સાયરનના ભણકારા તેમની માનસિક તંદુરસ્તીને હાની પહોંચાડે છે. પણ જો રાત્રે ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ આપાવમાં આવી છે. એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.