સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવા મંથન કાર્યક્રમ દ્વારા યુવાઓને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે સિનિયરોની કેર કરવા, રોગ પ્રતિકારકશક્તિ વધારવાના ઉપયાર, વાયરસને ગંભીરતાથી લેવા, લૉકડાઉનનો અમલ કરવા અને અફવાઓથી દૂર રહેવા અંગે વાત કરી હતી.
કોરોનાની આ લડાઇ કાલે પતી જાય તેવી નથીઃ મુખ્યમંત્રી
યુવા મંથન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોનાની આ લડાઈ બહુ લાંબી છે કાલે બધુ પતી જશે તેવું નથી હજુ પણ આપણે લડવાનું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગંભીર રોગોના લક્ષણોવાળાના કોરોનાથી વધુ મૃત્યુ થયા છે જેથી તેમને વધુ કાળજી રાખવી પડશે. સિનિયરોને કોરોનાનો ચેપ ન લાગે તેની કાળજી લેવી. ગરમ પાણી પીવે, ઠંડુ ખાવું નહીં અને પીવું પણ નહીં.
ત્રીજા લૉકડાઉન અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, આજથી રાજ્યના ગ્રીન ઝોનમાં થોડી છુટ આપવામાં આવી છે. પરંતુ ગાંધીનગર, ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ, બોટાદ, બોપલ, ખંભાત, ગોધરા બારેજા, ઉમરેઠમાં પણ કોઈપણ પ્રકારની છુટછાટ નહીં મળે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વૃદ્ધોની સાથે પરપ્રાંતિઓ જેમને પોતાના વતન જવું છે તેમની મદદ કરીએ, નથી જવું એમની ચિંતા કરીએ. આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીએ અને અન્ય લોકોને પણ કરાવીએ.
સોશિયલ મીડિયામાં ફેલાવાતી અફવાના કેસ વધ્યા છે ત્યારે આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ખોટી વાતોથી આપણી લડાઇ કાચી ન પડે અને સતત જાગૃત થઇને જડબાતોડ જવાબ આપવા પડે.
વિજય સંકલ્પ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, 1મેના રોજ આપણે હેશટેગ વિજય સંકલ્પ સાથે વીડિયો બનાવ્યા. આપણે ખુબ સુંદર કામગીરી કરીને પ્રતિજ્ઞા લેવડાવી હતી. માસ્ક વિના ઘરની બહાર નહીં જઇએ. વારંવાર સાબુ વડે હાથ ધોઇશું. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશું. મુખ્યમંત્રીએ 'લોકડાઉન પછી ગુજરાત' અને 'આપણી જવાબદારી' આ પોસ્ટરનું વિમોચન કર્યું છે.