મહારાષ્ટ્રમાં ચાલતા હનુમાન ચાલીસાના વિવાદને લઈને CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'દાદાગીરી કેવી રીતે તોડવી તે બાલાસાહેબે શીખવ્યું છે.'
હનુમાન ચાલીસાના વિવાદને લઈને ઉદ્ધવ ઠાકરેની ચેતવણી
ઠાકરેએ કહ્યું 'દાદાગીરી કેવી રીતે તોડવી તે બાલાસાહેબે શીખવ્યું છે'
હનુમાન ચાલીસા વાંચવી હોય તો ઘરે જઇને વાંચો : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હનુમાન ચાલીસાના વિવાદને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડતા તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'હનુમાન ચાલીસા વાંચવી હોય તો ઘરે જઇને વાંચો. આની પણ એક રીત હોય છે, પરંતુ દાદાગીરી કરીને ના આવો. જો તમે આમ કરશો તો દાદાગીરી કેવી રીતે તોડવી તે બાલાસાહેબે શીખવ્યું છે.'
આ નકલી નવા હિન્દુત્વવાદીઓ છે : ઉદ્ધવ ઠાકરે
અમે ઘંટાધારી હિન્દુત્વને નથી અનુસરતા, પરંતુ ગદાધારી હિન્દુત્વને અનુસરીએ છીએ. હું ટૂંક સમયમાં એક રેલી કરીશ, જ્યાં દરેકના સમાચાર લેવામાં આવશે. આ નબળા હિન્દુત્વવાદીઓ આવ્યા છે. આ નકલી નવા હિન્દુત્વવાદીઓ છે. તેમની વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે કે તેનો શર્ટ મારા કરતા વધુ ભગવો કેવી રીતે? કેટલાંક લોકોના પેટમાં એસિડિટી થઇ ગઇ છે. તેઓની પાસે કોઈ કામ નથી. વગર કામે ઢોલ વગાડવાનું તેમનું કામ છે. હું તેમને મહત્વ નથી આપતો.'
જણાવી દઈએ કે, અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ શુક્રવારે ઉદ્ધવ ઠાકરેના ઘર 'માતોશ્રી' ની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. રાણા દંપતીની આ જાહેરાત બાદ સવારથી જ તેમના ઘરની બહાર ખૂબ મોટી સંખ્યામાં શિવસેનાના લોકો એકઠા થયા હતા. શિવસેનાના લોકોએ રાણા દંપતી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં શિવસૈનિકોએ કહ્યું કે, તેઓની માટે માતોશ્રી મંદિર સમાન છે. રાણા દંપતીએ તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
સીએમ ઉદ્ધવે કહ્યું કે, આ કેવાં હિન્દુત્વવાદીઓ છે, જેઓ બાબરી સમયે બિલમાં છુપાયેલા હતા. કોર્ટે રામ મંદિરનો નિર્ણય કર્યો છે અને તેની માટે પણ લોકો સામે પોતાનો હાથ ફેલાવ્યો છે. ત્યારે હવે શિવસેના બતાવશે કે ભીમરૂપ અને મહારુદ્ર શું હોય છે?
રાણા દંપતીને હાઈકોર્ટમાંથી કોઈ રાહત નહીં
આ કેસમાં ધરપકડ કરાયેલા અમરાવતીના સાંસદ નવનીત રાણાને બોમ્બે હાઈકોર્ટમાંથી પણ રાહત નથી મળી. હાઈકોર્ટે તેમની વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની અરજીને ફગાવી દેતા તેઓને ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, જે લોકો જાહેર જીવનમાં છે તેમની જવાબદારી વધારે છે. આ સાથે નવનીત રાણાના વકીલે હવે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી છે.
બીજેપીનું પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચ્યું
આ વિવાદને લઈને ભાજપનું પ્રતિનિધિમંડળ સોમવારે દિલ્હી પહોંચ્યું હતું. કિરીટ સોમૈયા પણ ભાજપની આ પાર્ટીમાં સામેલ હતા. પ્રતિનિધિમંડળ ગૃહ સચિવને મળ્યું છે. જણાવી દઈએ કે કિરીટ સોમૈયા પર ખાર પોલીસ સ્ટેશનમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ભાજપ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. દિલ્હી પહોંચ્યા બાદ બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, મુંબઈ પોલીસ કમિશનરના કહેવા પર મારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે, શિવસેનાના પ્રવક્તા ધમકી આપે છે.