કોરોનાની બીજી લહેરમાં કેન્દ્ર તરફથી મળેલી મદદ મુદ્દે CM વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતને હંમેશા માગ્યા કરતાં વધારે અને વહેલું આપ્યું
કોરોનાકાળમાં કેન્દ્રની ગુજરાતને મદદ અંગે CM રૂપાણીનું નિવેદન
મોસાળે મા પીરસનાર હોય પછી ગુજરાતે શેની ચિંતાઃ CM
કેન્દ્ર સરકારે ગુજરાતને હંમેશા માગ્યા કરતાં વધારે અને વહેલું આપ્યું
કોરોનાકાળમાં કેન્દ્ર તરફથી મળતી સુવિધા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. CM રૂપાણીએ કહ્યું કે, PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગુજરાતને મદદ કરી છે અને સશક્ત પીઠબળ પૂરું પાડ્યું છે. કોરોનાના સંક્રમણની શરૂઆતના પહેલા તબક્કામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ માટે નિષ્ણાત તબીબો મોકલીને અત્યંત આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું.
અને કોરોનાના આ બીજા અતિ આક્રમક વેવ સામે લડવા વેન્ટિલેટર જેવા સાધનો મોટી માત્રામાં આપ્યા છે. એટલું જ નહીં ગુજરાતના કોરોનાના દર્દીઓના જીવ બચાવી શકાય એ રીતે ક્યારેય ઓક્સિજન, આવશ્યક ઇન્જેક્શન કે દવાઓની ક્યારેય અછત વર્તાવા દીધી નથી. આ માટે ગુજરાત હંમેશા PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આભારી રહેશે.
કેન્દ્રએ ગુજરાતને બધું આપ્યું તો ગઈકાલે સુપ્રીમમાં કેમ આવું સોગંદનામું રજૂ કર્યું
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેન્દ્રની મદદ મુદ્દે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. પરંતુ ગઈકાલે ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મૂકીમે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં ગુજરાત તરફથી માગવામાં આવેલી મદદ પૂરતી ન મળતી હોવાની વાત કરવામાં આવી હતી. સોગંદનામામાં કેન્દ્ર તરફથી ગુજરાતને પૂરતો ઓક્સિજનનો જથ્થો ન મળતો હોવાની પણ વાત કરી હતી. જ્યારે આજે કેન્દ્ર દ્વારા તમામ સહાય મળી હોવાની વાત એક વિરોધાભાસ સ્થિતિ દેખાડે છે.
ગુજરાતને અંદાજે 5000 જેટલા વેન્ટિલેટર્સ મોકલી આપ્યાઃ CM
કોરોનાના બીજા વેવમાં પરિસ્થિતિ વધારે ગંભીર થઈ. કોરોનાના કેસોની સંખ્યામાં અકલ્પનીય, અણધાર્યો અને અચાનક વધારો થયો. પરિણામે મેડિકલ સંશાધનોની તાકીદની આવશ્યકતા ઉભી થઇ. આવા અણીના સમયે PM મોદીએ ખાસ પી.એમ.કેર્સમાંથી વ્યવસ્થા કરીને ગુજરાતને અંદાજે 5000 જેટલા વેન્ટિલેટર્સ મોકલી આપ્યા. ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આ વેન્ટિલેટર્સ જીવાદોરી જેમ ખૂબ આશીર્વાદરૂપ થયા.
કેન્દ્ર સરકારે ગુજરાતના દર્દીઓને પૂરતા પ્રમાણમાં રેમડેસિવીર આપ્યા
PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વખતોવખત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતને માર્ગદર્શન અને પીઠબળ પૂરું પાડ્યું છે. બીજી વેવમાં ખૂબ મોટી સંખ્યામાં રેમડેસિવીર જેવા ઇન્જેક્શનોની આવશ્યકતા ઉભી થઇ છે. એ વખતે પણ કેન્દ્ર સરકારે ગુજરાતના દર્દીઓને પૂરતા પ્રમાણમાં રેમડેસિવીર મળી રહે તેવું આયોજન કર્યું હતું. સાથે વેક્સિન પણ ગુજરાતને અગ્રતાના ધોરણે અને પૂરતી માત્રામાં મળી રહે એવી ચિંતા કેન્દ્ર સરકારે સતત કરી છે.