કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા મુદ્દે CM વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે
રથયાત્રા મુદ્દે CM રૂપાણીનું નિવેદન
રથયાત્રા અંગે સમયાનુસાર કરાશે નિર્ણયઃ CM
હજુ પણ કોરોનાનો સામનો કરવાનો છેઃ CM
ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. રથયાત્રા અંગે વિજય રૂપાણીએ કહ્યું કે, યોગ્ય સમયે નિર્ણય લેવાશે. હજી પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી બને છે. આપણે લોકડાઉન વિના જ કોરોનાને હરાવ્યો છે. સ્થિતિ હવે નિયંત્રિત થઈ રહી છે, પરંતુ રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે.
કોરોના સંક્રમણના કારણે આ વર્ષે પણ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથીની રથયાત્રા પર પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યો છે. જોકે કોવિડ-19 ગાઈડલાઈન્સની સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થશે. રથાયાત્રામાં ભક્તોને એન્ટ્રી મળશે નહીં. આ વર્ષે માત્ર સેવકો દ્વારા જ રથયાત્રાનું આયોજન કરાશે. સેવકો માટે પણ ખાસ નિયમો લગાવવામાં આવ્યા છે. કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અને વેક્સિન લગાવી ચુકેલા સેવક જ યાત્રામાં સામેલ થઈ શકશે.
આ રીતે ભક્તો કરી શકશે દર્શન
12 જુલાઈએ પુરીમાં રથ યાત્રા કાઢવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓને સામેલ કરવા પર રોક લગાવવામાં આવી છે. ઓડિશા સરકારે દુરદર્શનને રથયાત્રાનું સીધું પ્રસારણ કરવાની અપીલ કરી છે. જેથી લોકો ઘરમાં જ દર્શન કરી શકે. ગયા વર્ષે પણ સરકારે સીધું પ્રસારણની વ્યવસ્થા કરી હતી.
2020 વર્ષે આ હતી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન
વર્ષ 2020માં સુપ્રીમકોર્ટે 18 જૂન 2020એ કોરોના મહામારીને જોતા રથયાત્રા પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે 11 ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં કર્ફ્યૂનો પણ સમાવેશ થાય છે. ઓડિશા સરકારે જણાવ્યું હતું કે, લોકોની ઉપસ્થિતિ વગર આ ઉત્સવનું સંચાલન સંભવ નથી. જ્યાર બાદ કોર્ટે રથયાત્રા યોજવા અંગે સ્પષ્ટતા કરી હતી. કોર્ટે પુરીમાં પ્રવેશ દ્વાર બંધ કરવા અને રાજ્ય સરકારને કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાતમાં કેસની સંખ્યા ઘટવા મુદ્દે CM રૂપાણીનું નિવેદન
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. ત્યારે સીએમ રૂપાણીએ આજે કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે છૂટછાટ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. પરંતુ હજુ આપણે કોરોના મુક્ત થયા નથી.
છૂટ આપી છે તેનો મતલબ એ નથી કે ચિંતામુક્ત બની જવુંઃ CM
સીએમ રૂપાણીએ કહ્યું કે, હું ગુજરાતની જનતાની વિનંતી કરું છું કે કેસ બીજી લહેરના ઘટી રહ્યા છે અને આપણે તેને કંટ્રોલ કરી લીધો છે પરંતુ એનો અર્થ એવો નથી. કે કોવિડ પૂરો થઈ ગયો છે. કોરોના ચાલુ જ છે અને કોરોનાની ગંભીરતાને લઈને આપણે નિયમો પાળવા જ પડશે.