ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે તમામ પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. તેવામાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત બગડી છે. તેઓ કાર્યક્રમ રદ્ કરી પરત ફર્યા હતા.
આગામી 23 એપ્રિલે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવા જઇ રહ્યું છે. ત્યારે આવતીકાલે સાંજે પ્રચાર પડઘમ શાંત પડી જશે. ચૂંટણી પ્રચારને લઇ સીએમ વિજય રૂપાણી પણ પ્રચારમાં મંડાયા હતા. પરંતુ સતત વ્યસ્તતાને લઇને સીએમ રૂપાણીની તબિયત લથડી છે. અચાનક નાદૂરસ્ત તબિયતના કારણે સીએમ રૂપાણીએ તેમનો કાર્યક્રમ રદ કરી દીધો છે.
સીએમ રૂપાણીનો સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ હતો પરંતુ હેલિકોપ્ટરથી આગમન બાદ અચાનક સીએમ પરત ગાંધીનગર ફર્યા હતા. મહત્વનું છે કે ચૂંટણીને લઇને દરરોજ પ્રચાર માટે પ્રવાસના કારણે તેમની તબિયત નાદુરસ્ત થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાત પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન પણ સીએમ રૂપાણીની તબિયત લથડી હતી. તેમણે જૂનાગઢનો કાર્યક્રમ ટાળીને વિમાનમાં અમદાવાદ થઇને ગાંધીનગર લવાયા હતા.