ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને તેના માટે 20 વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ આગોતરી તૈયારી
ગુજરાત સરકારે આગોતરી તૈયારી પૈકી 20 સચિવોને સોંપી જવાબદારી
CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય
CM રૂપાણીએ કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરને લઈ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ત્રીજી લહેરના આગમન પહેલા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી છે. મુખ્યમંત્રીએ 20 જેટલા વરિષ્ઠ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી 3 મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
CM રૂપાણીએ જે જે સચિવોને સંભવિત થર્ડ વેવ સામે લડવા આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે. 17 જૂનથી જ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાનું કહેવાયું છે. મુખ્યમંત્રીએ કહ્યું, આપણે પ્રાર્થના કરીએ કે, થર્ડ વેવ આવે જ નહીં. પરંતુ જો આવે તો મૃત્યુ આંક વધે નહીં, સંક્રમિતોને ત્વરિત સારવાર મળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પુરતી વ્યવસ્થાઓ મળે અને તેઓ જલ્દી સાજા થઇને પરત જાય તેવા ત્રેવડા વ્યૂહથી સજ્જ થઇને કાર્ય યોજનાઓ ટાઇમબાઉન્ડ પુરી કરવાની છે.
CM રૂપાણીએ કોરોનાથી બચવાના આગોતરા શસ્ત્ર એવા વેક્સિનેશનનો વ્યાપ નગરો, શહેરો અને ગ્રામ્ય સ્તરે ઝૂંબેશરૂપે ખાસ મુવમેન્ટથી ચલાવવા તાકીદ કરી હતી અને પોલીંગ બૂથની પેટર્ન પર વેકસીનેશન સેન્ટર શરૂ કરીને વધુને વધુ લોકોને વેકસીનેશન અંતર્ગત આવરી લેવા એન.જી.ઓ., સેવા સંગઠનો, પદાધિકારીઓ વગેરેનો સહયોગ લેવાનું પણ સૂચન કર્યું હતું
આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તેમજ વિવિધ વિભાગના સચિવો, જેમને જવાબદારીઓ સોંપવામાં આવી છે તે સૌ ઉપસ્થિત રહ્યા હતા.