ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી CM રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી છે. જો કે, ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી છે. અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે.
AAP અને કોંગ્રેસ પણ કરી ચૂક્યું છે રજૂઆત
આ અગાઉ આપ અને કોંગ્રેસ દ્વારા પર ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમતિ ચાવડાએ ચીફ જસ્ટિસને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરી હતી.
ચૂંટણીપંચનો લૂલો બચાવ
કોરોના મહામારી વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જેને લઈ ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલો ઉઠ્યા હતા ત્યારે ચૂંટણી કમિશનરે લૂલો બચાવ કર્યો હતો. ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે નિવેદન આપ્યું હતું કે, ગાંધીનગરની પ્રજા શિક્ષિત છે અને કોરોનાને ધ્યાને રાખીને તેઓ નિયમોનું પાલન કરશે. જેને લઈ અન્ય શહેરોના લોકો રોષ વ્યકત કરી રહ્યા છે કે શું અન્ય શહેરોમાં શિક્ષિત પ્રજા નથી.
ગાંધીનગર ચૂંટણીની તારીખ જાહેર
ગાંધીનગર મહાનગર પાલિકા માટે 18 એપ્રિલે ચૂંટણી યોજાશે.
20 એપ્રિલના દિવસે પરિણામ જાહેર કરાશે.
પહેલી એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
11 વોર્ડમાં ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર
5 ચૂંટણી અધિકારી અને 5 મદદનિશ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા હતા
સૌરાષ્ટ્રમાં કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું, કેસ વધતાની સાથે સમસ્યા વધે છે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાં 300 કેસ રોજ આવતા હતા. આજે 4 હજાર કેસ થઈ ગયા છે. જેને લઈ સરકારે ત્રણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેમાં ટેસ્ટિંગ વધારવું, આજે રોજના સવા લાખ ટેસ્ટિંગ રાજ્યભરમાં થઈ રહ્યા છે. તો રાજકોટની સમરસ હોસ્ટેલમાં ઓક્સિજનની પાઈપલાઈન નાખવાની કામગીરી થઈ રહી હોવાની પણ વાત કરી છે.