કોરોનાની બેકાબૂ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટ જશે, કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે કરશે બેઠક
રાજકોટમાં કોરોનાના કેસ વધવાનો મામલો
આવતીકાલે CM રૂપાણી જશે રાજકોટ
કોરોનાના વધતા કેસો વચ્ચે CM રૂપાણી પહોંચશે રાજકોટ
રાજકોટમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. અને પરિસ્થિતિ બેકાબૂ બની હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે આવતીકાલે CM રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટ જશે. કોરોનાના વધતા કેસો વચ્ચે CM રૂપાણી રાજકોટ જઈ રહ્યા છે. જ્યાં અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાશે. CM રૂપાણી કલેક્ટર, મનપા કમિશનર સાથે બેઠક યોજશે.
રાજકોટમાં ઓક્સિજનની ઘટના કારણે કિંમતમાં વધારો
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ઓક્સિજનના સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 160 રૂપિયાથી વધીને 285 રૂપિયા થઈ છે. તો GST સાથે ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 316 રૂપિયાએ પહોંચી છે. તો બીજી તરફ હોળાષ્ટક પહેલા રોજના 50થી 60 ઓક્સિજનના સિલિન્ડરની માગ રહેતી હતી.
જ્યારે હાલ રોજના 350થી 400 સિલિન્ડર સુધી પહોંચી છે. જો આગામી સમયમાં હજુ પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો આ માગ 800 સુધી પહોંચશે તેવું વેપારીઓ માની રહ્યા છે. જો કે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઓક્સિજનના સિલિન્ડરની અછત ઉભી નહી થાય તેવી બાંહેધરી આપી છે.
રાજકોટમાં પોલીસના 3 હજાર જેટલા કર્મચારી મેદાને
રાજકોટમાં કોરોના બેફામ રીતે વધી રહ્યો છે. કોરોનાને લઈને હવે રાજકોટ પોલીસ પણ મેદાનમાં આવી ગઈ છે. આશરે 3 હજાર જેટલા પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં ગોઠવવામાં આવશે. પોલીસ જાહેર માર્ગો તથા ચા-પાનની દુકાન પર એકઠા થતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે ખાણી-પીણી બજારમાં પોલીસ કડકહાથે કાર્યવાહી કરશે.
રાજકોટમાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારાશે
રાજકોટમાં સતત કોરોના વકરતો જાય છે ત્યારે કોરોનાની સ્થિતિને લઈને રાજકોટ જિલ્લા કલેકટરનું નિવેદન સામે આવ્યું હતું. કલેકટરે જણાવ્યું કે કોરોનાના કેસોને લઈને તંત્ર દ્વારા આગવી તૈયારીઓ કરી લેવામાં આવી છે. તથા શહેર જિલ્લામાં નવા કોવિડ સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં રાજકોટમાં 3500 બેડની કેપેસિટી હોવાનું કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કલેકટરે વહીવટી તંત્ર સતત સંકલન કરી પરિસ્થિતિ પ્રમાણે કામ કરતુ હોવાનું જણાવ્યુ હતું.