ગુજરાતના સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આજે રાજ્યના સીએમ રૂપાણીએ સુરતની પરિસ્થિતિ પર મહત્વની બેઠક કરી હતી.
કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતીની જરૂર : CM
નવા 300 વેન્ટિલેટર સુરતને મળશે
3 લાખ રેમડેસિવિર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે : CM રૂપાણી
સુરતમાં CM રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક
સુરતમાં કોરોના સંક્રમણ વધતા મુખ્યમંત્રી રૂપાણીએ બેઠક કરી છે. આ બેઠકમાં સુરતના ધારાસભ્યો અને સાસંદ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં અધિકારીઓ પાસેથી કામગીરી અંગે તેમણે માહિતી મેળવી હતી. CM રૂપાણીએ સુરતમાં કોરોના કામગીરી વધુ ઝડપી બનાવવા નિર્દેશ કર્યો છે. સુરતમાં વધુ 50 ધનવંતરી રથ શરૂ કરાવવામાં આવ્યા છે. નર્સિંગ હોમમાં કોરોના વાયરસના દર્દીઓને સારવાર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે તથા 2500 રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો આજે જ સુરત મોકલાશે તેવી ખાતરી CM રૂપાણીએ આપી છે.
ઈંજેક્શન ઓછા ન પડે તે માટે મહત્વની જાહેરાત
કોરોના વાયરસનો વ્યાપ વધવાના રેમડેસિવિર ઈન્જેક્શન માટે ઘણા બધા કોરોના દર્દીઓના પરિજનોને પરેશાની થઈ રહી છે ત્યારે આજે આ ઇન્જેકશન મુદ્દે મોટું નિવેદન આપતા કહ્યું કે ગઇકાલની બેઠકમાં જ ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે ઝાયડસને 3 લાખ ઈન્જેક્શનનો ઓર્ડર આપી દીધો છે. હવે તંત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવી શકે છે કે જેથી ઈન્જેક્શન માટે લોકોને ફરવુ ન પડે તેવી વ્યવસ્થા ઊભી થાય.
CM રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટના નિર્દેશ અંગે ચર્ચા થઇ છે, આ મુદ્દે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે વાતચીત થઇ છે. આજે રાત્રે વકિલ તરફથી હાઇકોર્ટના નિર્દેશ મામલે સમગ્ર રિપોર્ટ મળશે. ત્યારબાદ કોર ગ્રુપ આ મામલે ચર્ચા કરશે. ત્યારબાદ નિર્ણય લેવાશે. આ સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇ ડિટેઇલ વધુ નથી મારી પાસે. લોકો ચિંતા ન કરે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે, કોરોના સામેના સંઘર્ષમાં કોઇ પીછેહઠ થશે નહીં. લોકોને તકલીફ ન પડે અને કોરોના પણ લોકોને ન થાય તે પણ અમારી જવાબદારી છે. લોકોના હિતમાં અમે નિર્ણય કરીશું.
પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા CM રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, જે રીતે દેશભરમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા લાગે છે કે, હજુ પણ કેસ વધશે. તેનાથી આપણે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. હાલ દરરોજ 4 લાખથી વધુનું વેક્સિનેશન કરી રહ્યા છીએ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 70 લાખ લોકોને વેક્સિન આપી ચૂક્યા છીએ. આપણા હાથમાં હથિયાર છે, વેક્સિન છે, લોકો વેક્સિન લગાવે તે જરૂરી છે.