ગુજરાતમાં ગઈકાલે જ કડક નિયંત્રણો તથા રાત્રિ કર્ફ્યૂના નિર્ણય બાદ આજે ફરીથી સીએમ રૂપાણીએ બેઠક બોલાવી છે.
આજે ગુજરાત સરકારની કેબિનેટ બેટક
કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા
વેક્સિનેશન, ઓક્સિજન પ્લાન્ટનો પણ મુદ્દો
CM રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
રાજ્યમાં કોરોના વાયરસના સંકટની વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. ગઇકાલે જ કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં વધુ કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ સહિતના નિર્ણય સીએમ રૂપાણી દ્વારા લેવામાં આવ્યા છે ત્યારે આજે ફરીથી રાજ્યની સરકારની કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે જેમાં કોરોના વાયરસ સામે લડવાની રણનીતિ મુદ્દે ચર્ચા બાદ કેટલાક નિર્ણયો લેવાઈ શકે છે.
CM રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક બોલાવવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સામેલ થશે. બેઠકમાં કોરોના વાયરસ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને પ્રભારી મંત્રીઓને આપવામાં આવેલી જવાબદારી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. પ્રભારી મંત્રીઑ દ્વારા જે તે વિસ્તારમાં કરવામાં આવેલ કામગીરી મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણોની અમલવારી મુદ્દે ચર્ચા
રાજ્યના દર્દીઓને અત્યારે સૌથી વધારે જરૂરી ઑક્સીજન છે ત્યારે ઓક્સિજન પ્લાન્ટ નિર્માણની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે તથા વેક્સિનેશન કામગીરી અને સપ્લાય મુદ્દે પણ સમીક્ષા કરાશે. આ સાથે જ વેક્સિનના વધુ ઓર્ડર મુદ્દે કોઈ નિર્ણય આવે તેવી શક્યતા છે અને 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણોની અમલવારી મુદ્દે પણ મંત્રીઑ સાથે મુખ્યમંત્રી મીટિંગ કરશે.
જાણો ગાંધીનગરની બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણય
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સ્થિતિએ ચિંતા વધારી છે તો ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને આડેહાથ લીધી છે,ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજેલી એક બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. જે સમગ્ર રાજ્યમાં માટે છે.અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ ૭ શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
12 મે સુધી લંબાવાયા કડક નિયમો
તા. ૬ મે-ર૦ર૧થી તા.૧ર મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે
જાણો શું રહેશે ચાલુ ?
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે
ઓફિસમાં માત્ર 50 ટકા સ્ટાફની જ હાજરી
ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે.