કોરોનાકાળમાં પૂરતા દસ્તાવેજ ન હોય તેવા વાહનચાલકો પાસેથી હવે ઉચ્ચક દંડ લેવામાં આવશે.
પુરતા દસ્તાવેજ નહીં હોય તેના પાસેથી ઉચ્ચક દંડ લેવાશે
વાહનો છોડાવવામાં થતા વિલંબને લઇ નિર્ણય
જરૂરી દસ્તાવેજ 15 દિવસમાં રજૂ કરવાના રહેશે
મુખ્યમંત્રી રૂપાણીનો વાહનચાલકો માટે મહત્વનો નિર્ણય
ગુજરાતમાં મહામારીના કારણે જનતા પરેશાન છે ત્યાં બીજી તરફ વાહનો માટે RTOના ચક્કર પણ લગાવવા પડી રહ્યા છે ત્યારે સીએમ રૂપાણી એક બાદ એક વાહનચાલકોને રાહત આપવા માટે નિર્ણય લઈ રહ્યા છે. હવેથી વાહનચાલકો પાસે પૂરતા દસ્તાવેજ નહીં હોય તો ઉચ્ચક દંડ લેવામાં આવશે જેથી RTOમાં થતી લાંબી પ્રક્રિયાથી બચી શકાય.
કોરોનાકાળમાં RTOમાં જપ્ત થયેલા વાહનોને છોડવવાની પ્રક્રિયામાં જતો સમય નિવારવા માટે સીએમ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે પૂરતા દસ્તાવેજ સાથે ન હોય તેવા વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલ કરાશે. જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે રૂ. 500 જ્યારે ફોર વ્હીલર વાહનો માટે 1000 રૂ. વસૂલ કરવામાં આવશે. નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ માટે જે વાહનો પકડવામાં આવ્યા છે તેમના માલિકો પાસેથી આ પ્રકારનો દંડ વસૂલ કરવામાં આવશે. વાહનો જપ્ત થવાના કારણે લાંબી મુશ્કેલી ચાલકોને પડી રહી હતી જે હવે નહીં પડે.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
નોંધનીય છે કે રાજ્યમાં વધતાં કેસ વચ્ચે એવી ફરિયાદો આવી રહી હતી કે ઘણા લોકો પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલરમાં લઇને જતા-આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. અને વાહનો જપ્ત કરવામાં આવે તે બાદ તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે. જે બાદ સીએમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
ગઇકાલનો નિર્ણય : માસ્ક સિવાય કોઈ દંડ નહીં
નોંધનીય છે કે ગઈકાલે જ સીએમ રૂપાણીએ નિર્ણય કર્યો હતો કે ટ્રાફિકના નિયમોમાં માસ્ક સિવાય અન્ય કોઈ દંડ લેવામાં આવશે નહીં. રાજ્યમાં માસ્ક ન પહેરનારા સામે એક હજાર રૂપિયા દંડ લેવાનો કાયદો બનાવવામાં આવ્યો છે આ સિવાયના કોઈ દંડ પોલીસ દ્વારા વસૂલ કરવામાં આવશે નહીં.