ગુજરાત પર 'વાયુ' વાવાઝોડાનું સંકટ છે ત્યારે અરબ સાગરમાં પૈદા થયેલ વાવાઝોડું મહારાષ્ટ્રથી ઉત્તરમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર પણ અલર્ટ થઇ છે.
વાયુ વાવાઝોડું જામનગર સહિત સૌરાષ્ટ્રના સાગર કિનારે દસ્તક દઈ રહ્યું છે. ત્યારે તંત્ર આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સ્તરે સાબદું થયું છે. લોકોના સ્થળાંતરથી માંડી બચાવ કાર્ય, રાહત સામગ્રી સહિતને લઈને તંત્રએ માઈક્રો પ્લાનિંગ કર્યું છે. સંરક્ષણની ત્રણેય પાંખને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જરૂર પડ્યે હવાઈ સેવા પણ લેવાની તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. મહત્વનું છે કે વાવાઝોડા મામલે ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને કેટલીક અપીલો કરી હતી.
ગુજરાત સરકારનું હાઇ અલર્ટ
સંભવિત વાયુ વાવાઝોડાને લઈને CM રૂપાણીની જનતાને અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ આવી રહ્યુ છે. 120-130 કીમીની ઝડપે વાવાઝોડુ ત્રાટકી શકે છે. 10 જિલ્લામાં વાવાઝોડાની અસર થઈ શકે છે. બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું લોકો ટાળે. જોખમી સ્થળો પર મુસાફરી નહીં કરવા માટે અપીલ કરી છે. જાનહાની, મિલકતોને નુકશાન ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે વાવાઝોડાને લઈ તૈયારીઓ કરી છે.
Conducted a review meeting with officials on preparedness in view of #VayuCyclone forecast. Instructed them to leave no stone unturned to counter any adverse situation. People are advised to follow the instructions issued by the administration from time to time and cooperate. pic.twitter.com/RmW9TrU5Lo
તેમણે કહ્યું કે, સરકારના વહિવટી કામોમાં મદદરૂપ થાઓ. સરકાર દ્વારા 700 જગ્યાએ સલામત સ્થળોની વ્યવસ્થા કરાઈ છે. સ્થાનિક તંત્રએ શાળાની ઈમારતોમાં લોકોને ખસેડવા નિર્ણય લીધો છે. મંદિરો, NGO, સામાજિક સંસ્થાઓને CM રૂપાણીએ અપીલ કરી છે. અસરગ્રસ્તોને સહાય માટે કામ કરવા માટે CMની અપીલ કરી છે. આરોગ્ય, પાણી પુરવઠો, વીજ પુરવઠો, બાંધકામ વિભાગ કામે લાગ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ કાર્યરત છે. પ્રવાસીઓને સલામત સ્થળે પહોચવા માટે વિનંતી છે.
ઓડિસાની તકનીક સમજી રહ્યું છે ગુજરાત
વધુમાં કહ્યું કે, દરિયાકાંઠામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવશે રિપોર્ટ અનુસાર વાયુ વાવાઝોડું વેરાવળ દરિયાકાંઠે અંદાજિત 650 કિમી દક્ષિણમાં સ્થિત છે. રૂપાણીએ કહ્યું કે કચ્છથી લઇને દક્ષિણ ગુજરાત સુધીના દરિયાકાંઠા વિસ્તારને હાઇ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વાવાઝોડા 'ફેણી' દરમિયાન ઓડિસામાં અપનાવવામાં આવેલ આપત્તિ વ્યવસ્થાપન તકનીકને સીખવા અને તેને લાગૂ કરવા માટે ગુજરાતના અધિકારીઓ ઓડિસા સરકારના સંપર્કમાં છે.
અધિકારીઓની રજા રદ
સીએમએ કહ્યું કે, અમે તમામ કર્મચારીઓને રજા રદ કરી દીધી છે અને તેમને ડ્યૂટી પર આવવાના આદેશ આપી દેવાયા છે. તેમણે કહ્યું કે, 13 અને 14 જૂન આપણા માટે બહુજ મહત્વના છે. અમે સેના, એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ પાસેથી રાહત અને બચાવ કાર્ય માટે મદદ માંગી છે. જાનહાનિ ન થાય તે માટે અમે બુધવારે દરિયા કિનારે વસતા લોકોને સુરક્ષિત જગ્યાઓ પર મોકલીશું.
શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર
સીએમએ કહ્યું કે, રાજ્યમાં શાળા-કોલેજ, આંગણવાડીઓમાં રજા રહેશે. શાળા પ્રવેશોત્સવ રદ કરાયો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 13થી 15 જૂન સુધી ત્રણ દિવસ પ્રવેશોત્સવ રદ્ કરાયો છે. જ્યારે 10 જિલ્લાઓમાં 13 અને 14 જૂન સુધી શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં ગીરસોમનાથ, કચ્છ, અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં શાળાઓ બે દિવસ બંધ રહેશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ
તેમણે જણાવ્યું કે, આ વાવાઝોડામાં રાજ્યના 60 લાખ લોકોને વાવાઝોડાની અસર થશે. રાજ્યના 400 ગામડામાં વાવાઝોડાની અસર થઈ શકે છે. વાવાઝોડાથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા અને 31 તાલુકામાં વ્યાપક અસર થશે. વાવાઝોડા દરમિયાન વીજલાઈનને અસર થઈ શકે છે. લોકોના સ્થળાંતર માટે ST બસને ઉપયોગમાં લેવાશે. સરકારી ઈમારતો અને ટ્રસ્ટોની બિલ્ડીંગોમાં અસરગ્રસ્તોને રખાશે. આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગને કામે લગાડાયા.
NDRF સહિતની ટીમો તૈનાત
NDRFની ટીમોને તૈનાત કરાઇ છે. ત્યારે તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસની SDRFની 10 ટીમો તૈનાત કરાઇ છે. આર્મીની 10 ટીમ તૈનાત કરાઈ છે. આર્મીની 23 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. કચ્છમાં બચાવ કાર્ય માટે BSFની 2 ટીમ તૈનાત કરાઇ છે.
માછીમારોને દરિયો ન ખેડવા સલાહ
સરકાર દ્વારા દરિયાકાંઠાના માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયો ન ખેડવા જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ તમામ બોટોને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે. 13 જૂને 1થી 1.5 મીટર સુધી મોજા ઉછળવાની સંભાવના છે.
ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક
રાજયમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે વાવાઝોડાને લઈને દિલ્હીમાં મહત્વની બેઠક યોજવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી. જેમાં ગૃહ મંત્રાલય અને સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા. તેમજ વાયુ વાવાઝોડાને લઇ સંબંધિત વિભાગોની કામગીરીની સમીક્ષા કરી.
રાજ્યમાં વરસાદની શરૂઆત
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડુ ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. રાજ્યના છોટાઉદેપુર, સંઘપ્રદેશ દમણ, વલસાડ, કપરાડા, વાપી, નાનાપોન્ડા, ઉમરાગામ, તાપી, વ્યારા, ડાંગ, વાસંદા, સુરત, કીમ સહિતના પ્રદેશોમાં વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.