રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય સચીવ જયંતી રવિ, પ્રિન્સિપલ સેક્રેટરી સહિતના અધિકારીઓ રાજકોટ પહોંચ્યા હતા અને સમીક્ષા બેઠક યોજી હતી. સમીક્ષા બેઠકમાં આંકડામાં જોવા મળતી વિસંગતતા અંગે પણ મુખ્યમંત્રીએ જવાબ માંગ્યો હતો અને ડેથ ઓડિટ બાબતે પણ બેઠકમાં વિગત મંગાવાઇ હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકારોને સંબોધન કર્યું હતું.
રાજકોટમાં કાલથી કોરોનાના ડબલ ટેસ્ટિંગ: CM
જો સ્થિતિ આવી જ હશે તો નવરાત્રી નહીં યોજાય: CM
1 ઓગસ્ટથી માસ્ક વિના 500 રૂપિયા દંડઃ CM
રાજકોટમાં આજે કોરોનાના સંક્રમણ મુદ્દે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં રાજકોટ તંત્ર અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ. બેઠક બાદ સીએમ રૂપાણીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં મહામારી છે. રાજ્યમાં હાલ સ્થિતિ સારી છે. રાજ્યમાં માર્ચની 20 તારીખે પ્રથમ કેસ આવેલો અને ત્યારથી સરકાર કોરોનાને રોકવાનો પ્રયાસ કરી રહી છે. જરૂરી નોટિફિકેશન આપણે બહાર પાડતા ગયા છીએ. લૉકડાઉન અને અનલૉકના અલગ અલગ દિવસો હતા. સંક્રમણ ઓછુ કરવા સરકાર 5 મહિનાથી કામ કરી રહી છે. અને આપણે સ્થિતિને પણ સારી રીતે કંટ્રોલ કરી રહ્યાં છે. ઘણા બધા રાજ્યો 24 કલાકના આંકડા આપે છે. અગાઉ એક સમયે સૌથી વધુ કેસમાં ગુજરાત બીજા નંબરે હતું. પરંતુ હાલ ગુજરાત 12માં નંબરે છે.
રાજકોટમાં કાલથી કોરોનાના ડબલ ટેસ્ટિંગ: CM
મુખ્યમંત્રી કહ્યું હતું કે, માર્ચ મહિનામાં રાજ્યમાં પ્રથમ કેસ રાજકોટમાં આવ્યો હતો. રાજકોટમાં 50 ટકા બેડ ભરેલા છે અને હજુ 50 ટકા ખાલી છે. સૌરાષ્ટ્ર અન્ય જિલ્લામાંથી દર્દીઓ આવતા હોવાથી રાજકોટ પર પ્રેશર વધી રહ્યું છે. બહારના 40 ટકા લોકો એવા છે જેના રાજકોટમાં મોત થયા છે. આજે આપણે નક્કી કર્યુ છે કે ટેસ્ટ વધારો કરવામાં આવશે. રાજકોટમાં આવતીકાલથી ટેસ્ટ ડબલ કરાશે. CM રિલિફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું. રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા થઇ ગઈ છે. રાજકોટવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી.
જો સ્થિતિ આવી જ હશે તો નવરાત્રી નહીં યોજાય: CM
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે અમદાવાદની જેમ સુરતમાં પણ કોરોના કંટ્રોલ થઇ રહ્યો છે. અને સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત મોડેલ દેશમાં લાગુ કરવા કહ્યું છે. નવરાત્રીને લઇ સીએમ રૂપાણીએ કહ્યું કે જો સ્થિતિ આવી જ હશે તો નવરાત્રી નહીં યોજાય. અને જો સ્થિતિ સુધરી તો આગળ વિચાર કરવામાં આવશે.
સદીમાં એક મહામારી આવતી હોય છેઃ CM
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સદીમાં એક મહામારી આવતી હોય છે. સુરત હવે સ્ટેબલ થઈ રહ્યું છે. અમદાવાદની જેમ સુરતમાં પણ કંટ્રોલ થઈ રહ્યો છે. બધી વ્યવસ્થા સારામાં સારી બને તે માટે કામ ચાલુ છે. IMAના ડૉક્ટર્સ, સરકારી ડૉક્ટર સાથે ચર્ચા કરી છે. એક સમયે અમુક જિલ્લામાં એકપણ કેસ ન હતા. ગુજરાતમાં રિકવરી રેટ 74 ટકા થયો છે. શહેરોમાં ચિંતા હજુ વધારે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વેક્સીન આવશે ત્યારબાદ નિરાકરણ આવશે. આપણા બધાની સામૂહિક જવાબદારી છે. આપણે આ લડાઈ પાર પાડીશું, અમદાવાદ તેનું ઉદાહરણ છે. અમદાવાદની ચર્ચા આખા દેશમાં છે. SCએ પણ કહ્યું છે કે ગુજરાત મોડેલ દેશમાં લાગુ પડે.
1 ઓગસ્ટથી માસ્ક વિના 500 રૂપિયા દંડઃ CM
સીએમએ કહ્યું હતું કે, શરૂઆતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધુ ચિંતા હતી. અનલૉક બાદ સ્થિતિ થાળે પાડવા પ્રયાસ થયા. 1 ઓગસ્ટથી માસ્ક વિના 500 રૂપિયા દંડ લાગૂ થશે. મોટી ઉંમરના લોકો બહાર ન નીકળે. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે. કોરોના સાથે જીવવાનું છે. કોરોનામાં મીડિયાની ભૂમિકા પણ મહત્વની છે.
પ્રાઇવેટ હોસ્પિટલને કોવિડમાં ફેરવનાર ગુજરાત પ્રથમ રાજ્યઃ CM
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઓછામાં ઓછો મૃત્યુદર થાય એ સરકારની જવાબદારી છે. જરૂર પડે તો સરકાર આગોતરા આયોજન કરે છે. દરેક જિલ્લામાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. રાજકોટમાં સરકારે સર્વે કર્યો છે. રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રાઇવેટ હોસ્પિટલને કોવિડમાં ફેરવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. રાજ્યમાં હાલમાં 22 હજાર ટેસ્ટ પ્રતિદિન થાય છે. એક સમયે 4 હજાર ટેસ્ટ કરી શકતા હતા. આપણે ટેસ્ટમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. સુપર સ્પ્રેડરના ટેસ્ટ માટે સૂચના આપી હતી.