હેલ્મેટ ફરીથી ફરજીયાત થશે? તો હા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલ્મેટને લઈને મહત્વનું નિવદેન આપ્યુ છે. વિજય રૂપાણીએ કહ્યું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે મરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટ કાયદો સરકારે દૂર કર્યો નથી. જો કે, રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા હેલ્મેટના કાયદાને મરજિયાત કરતા કોર્ટમાં રાવ નાંખવામાં આવી હતી જેને પગલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ટપારી હતી કે, લોકોની સુરક્ષા માટે ફરજિયાત કરેલા હેલ્મેટના કાયદાને મરજિયાત કેમ કર્યો. આ અંગે ગુજરાત સરકારે કોર્ટમાં કારણો રજૂ કરવાના છે.
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને હેલ્મેટ મુદ્દે ટપારી હતી
ગુજરાત સરકાર ફરીથી હેલ્મેટને ફરજિયાત બનાવી શકે છે
રૂા. 500 જેટલો દંડ વસૂલાતો હતો
હેલ્મેટ મામલે લોકોના વિરોધ બાદ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં આવતા માર્ગો પર હેલ્મેટ મરજિયાત કર્યું હતું. જ્યારે હાઈ-વે પર હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. જોકે હવે મુખ્યમંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે. જેમાં મુખ્યમંત્રીએ કહ્યું કે હેલ્મેટ માટેનો કાયદો સરકારે થોડા સમય માટે જ મરજિયાત કર્યો છે. એટલે કે આગામી દિવસોમાં સરકાર કાયદો ફરજિયાત પણ કરી શકે છે
ક્યા રસ્તાઓ પર હેલ્મેટ ફરજિયાત રહેશે?
સરકારની જાહેરાત પ્રમાણે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. જોકે, રાજ્યના ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને પંચાયતના માર્ગો પર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ મરજિયાત કરવા અંગે મંત્રીનું કહેવું હતું કે, શહેરી વિસ્તારોમાં એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર ઓછું હોય છે. આથી અહીં હેલ્મેટ ફરજિયાતની જરૂર લાગતી નથી. વળી હેલ્મેટને લઈને કડક કાયદા સાથે ટુવ્હીલર પર રૂા. 500 જેટલો દંડ પણ વસૂલાતો હતો.