પ્રિયંકા અને રાહુલ ગાંધીનું નેતૃત્વ બની ગયું છે એક મજાક: CM રૂપાણી
CM રૂપાણીએ આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસે લોકસભાની ચૂંટણી અગાઉ પ્રિયંકા ગાંધીને રણમેદાનમાં ઉતારી હતી, પરંતુ હાલ પ્રિયંકા અને રાહુલ ગાંધીનું નેતૃત્વ એક મજાક બનીને રહી ગયું છે. સોશિયલ મીડિયામાં બન્નેની ખૂબ મઝાક ઉડી રહી છે. તેમને 23મી તારીખે ભાજપની ભારે બહુમતીથી સરકાર બનવાનો દાવો કર્યો હતો.
આ ઉપરાંત CM રૂપાણીએ પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીની વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસે રાજસ્થાનમાં વિશ્વાસઘાત કર્યો હતો, તેઓ વિશ્વાસઘાત અને દગો કરીને રાજસ્થાનમાં સરકાર બનાવવામાં સફળ થયા છે. હવે કોંગ્રેસને 2019ની લોકસભાની ચૂંટણીમાં હાર સ્પષ્ટ દેખાઇ આવે છે, જેના કારણે કોંગ્રેસના નેતાઓ ભાજપ વિરોધી બેફામ નિવેદનો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની ઉડી રહી છે મજાક: CM રૂપાણી
CM રૂપાણીએ સોશિયલ મીડિયાનો હવાલો આપીને જણાવ્યું કે, હાલ તો સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની મજાક ઉડી રહી છે. કોંગ્રેસે હવે હાર ભાળી જતા કોંગ્રેસ હતાશા થઇ ગઇ છે, જેના કારણે તેઓ દરરોજ નવા નવા ગતકડા કરી રહ્યા છે. જનતાએ પોતાનો મૂડ બનાવી લીધો છે. તેઓ દેશમાં એક વિકાસશીલ અને સશક્ત સરકાર ઇચ્છે છે, તેઓ ભ્રષ્ટાચારી અને કૌભાંડી લોકોની સરકાર ઇચ્છતા નથી.
આપને જણાવી દઇએ કે, આજે રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, ત્યારબાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું હતું. આજે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને પીએમ મોદી અને ભાજપ પર પ્રહારો કર્યા હતા.
શંકરસિંહ પોતાના અસ્તિત્વ માટે વલખા મારી રહ્યા છે: CM રૂપાણી
આ ઉપરાંત ભૂપેન્દ્ર ખાંટનુ ધારાસભ્ય પદ રદ થવા મામલે સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. CM રૂપાણીએ જણાવ્યું કે, સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા કરીને ભૂપેન્દ્ર ખાંટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસમાં તાકાત હોય તો મોરવા હડફ સીટ જીતીને બતાવી. ત્યાર બાદ પૂર્વ સીએમ શંકરસિંહ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી કે, શંકરસિંહ પોતાના અસ્તિત્વ માટે વલખા મારી રહ્યા છે. મીડિયામાં આવવા માટે તેઓ વિવાદાસ્પદ નિવેદન આપે છે અને તેમના નિવેદનની કોઈ નોંધ લેતુ નથી.
જનતાને હવે પાણીની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે: CM રૂપાણી
તમને જણાવી દઇએ કે, ગત વર્ષે ઓછા વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થયો છે. આ વર્ષે પાણીની તંગી સર્જાય તેવી શક્યતા છે. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી કે, રાજ્યમાં 31 જુલાઈ સુધી જનતાને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો નહી પડે. રાજ્યના તમામ મંત્રીઓને જિલ્લાના આંતરિયાણ વિસ્તારોની મુલાકાત કરવા માટે કહેવામાં આવ્યુ છે. સાથે જ કલેક્ટરોને જિલ્લામા નવા બોર માટે પાઈપલાઈન કરવા જેવી સુવિધાઓ કરવા માટે સત્તા પણ આપવામાં આવી છે.