તાપીઃ નિઝરમાં મગફળીકાંડને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર કોઈને પણ છોડશે નહીં. સમગ્ર મામલે ઘનિષ્ઠ તપાસ થશે. અત્યાર સુધીમાં 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ કે ભાજપ કોઈને પણ છોડવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મગફળી કૌભાંડ મામલે હવે પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કુલ 29 આરોપીઓની ધરપકડ કરાઇ છે. પોલીસે મેસવાડ ગામે ક્રાંતિ ઓઈલ મીલના માલિકની રાજેશ વડારિયાની ધરપકડ કરી હતી. મગન ઝાલાવાડીયાએ અત્યાર સુધી 6700 બોરીઓ ક્રાંતિ ઓઈલ મીલને વેચી હતી. સાથે જ પોલીસે જેતપુર માર્કેટિંગ યાર્ડના વિશાલ તખરેલીયાની પણ ધરપકડ કરી છે.
જો કે રાજકોટના પેઢલા ગામમાં મગફળીકાંડ મામલે વિવાદ વકર્યો છે. મગફળીકાંડનો માસ્ટર માઈન્ડ મગન ઝાલાવાડિયાને માર્કેટિંગ યાર્ડના પદથી દૂર કરવાની માગ ઉભી થઈ છે. જેથી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ બી.કે.સખીયા આ મામલે સરકારને પણ રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે હાલ મગન ઝાલાવાડિયા માર્કેશટગ યાર્ડના ડિરેક્ટર છે.