સંભવિત ત્રીજી લહેરની તૈયારીને લઈને સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં ઝડપી નિર્ણયો અને નિયંત્રણોના કારણે ગુજરાતમાં કેસ ઘટાડી શક્યા છે.
કોરોનાની ત્રીજી લહેરની તૈયારી કેવી?
વિજય રૂપાણીએ કરી મહત્વની જાહેરાત
રાજ્યમાં અત્યારસુધી બે કરોડ ડોઝ આપ્યા-CM
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસથી લડી રહ્યો છે ત્યારે બીજી લહેરમાં આખા દેશમાં મોટા પાયે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જુદા જુદા નિષ્ણાતોને આશંકા છે કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પણ આવશે અને ત્રીજી લહેરને જોતાં ગુજરાત સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ આજે પત્રકાર પરિષદ સંબોધીને એક્શન પ્લાન વિશે મોટી જાહેરાત કરી છે.
ત્રીજી લહેરની તૈયારીમાં ગુજરાત પાછળ ન રહે તેવું આયોજન: DyCM
ગુજરાતમાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર પર સરકારે દાવો કર્યો છે કે ત્રીજી લહેર માટે ગુજરાત સરકાર સંપૂર્ણ તૈયાર છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે ત્રીજી લહેરની તૈયારીમાં ગુજરાત પાછળ ન રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 2 કરોડથી વધારે લોકોને રસી આપી દેવામાં આવી છે અને ગુજરાત રસીકરણમાં દેશભરમાં નંબર વન છે. જોકે તેમને એમ પણ કહ્યું કે ત્રીજા વેવનો વ્યાપ કેટલો રહેશે તેનો વૈજ્ઞાનિકોને ખ્યાલ નથી.
કોરોનાની બીજી લહેર અને ત્રીજી લહેરની તૈયારી પર બોલ્યા વિજય રૂપાણી
સંભવિત ત્રીજી લહેરની તૈયારીને લઈને સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં ઝડપી નિર્ણયો અને નિયંત્રણોના કારણે ગુજરાતમાં કેસ ઘટાડી શક્યા છે અને આઆજે કેસ ઘટીને 450 થયા છે. એવામાં તજજ્ઞોનું માનવું છે કે ત્રીજી લહેર આવવાની છે ત્યારે ગુજરાત સરકારે સમગ્ર એક્શન પ્લાન બનાવી નાંખ્યો છે જેના માટે ઓક્સિજનથી લઈને પીડિયાટ્રીક વોર્ડ સુધીની વ્યવસ્થા કરાઈ છે.
શું છે આખો એક્શન પ્લાન
ગુજરાતમાં ત્રીજી લહેર પહેલા ગુજરાત સરકારના એક્શન પ્લાન અનુસાર હવે રાજ્યમાં ઑક્સીજન બેડની સંખ્યા 61 હજારથી વધારીને એક લાખ દસ હજાર કરવામાં આવશે જ્યારે ICU બેડ પણ ડબલ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાત સરકારની યોજના છે કે ડોકટરોની સંખ્યા વધારવામાં આવશે તથા સર્વેલન્સ યુનિટ પણ વધારવાં આવશે.
મોટું એલાન
ગુજરાત સરકારે એલાન કરતાં કહ્યું કે ત્રીજી લહેરને જોતાં દૈનિક ટેસ્ટની સંખ્યા વધારવા આવશે. રાજ્યમાં 75 હજાર RTPCR ટેસ્ટ કરવામાં આવે છે તેની જગ્યાએ સવા લાખ ટેસ્ટ દરરોજ કરવામાં આવશે જેના માટે લેબની સંખ્યા પણ વધારવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં બાળકો માટેના ૨ હજાર બેડ છે તે વધારીને 4 હજાર કરવામાં આવશે તથા બાળકો માટેના વેન્ટિલેટરની સંખ્યા 500થી વધારે 1000 કરવામાં આવશે.