જ્યારથી કરોડોના ખર્ચે SVP બની છે ત્યારથી વારસા સમાન વીએસ હોસ્પિટલ વીસરાઈ રહી છે. કરોડો કમાવાની લાલચે તંત્ર પણ વીએસ હોસ્પિટલને તાળા લગાવવા માગે છે. ત્યારે જ તો બેદરકારીની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે માસૂમ બાળકીનો અંગૂઠો કપાઇ જવાની ઘટના સામે આવી છે.
નર્સે ડ્રેસિંગ સમયે બાળકીનો અંગુઠો કાપી નાખ્યો
વીએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ન્યૂમોનિયાની અસર બાદ બાળકીને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે બાળકીને બોટલ ચડાવવા માટે હાથમાં વિગો નાખવામાં આવી હતી. તેના પર પાટો પણ બાંધવામાં આવ્યો હતો. બાળકી સાજી થતા નર્સ દ્વારા પાટો ખોલવા જતાં બાળકીના અંગૂઠાનો ભાગ કપાઈ ગયો હતો. આમ, એક નર્સની ડ્રેસિંગ સમયે બેદરકારીને લીધે બાળકીના હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો.
કાતરની જરૂર ન હતી છતા કાતરથી ડ્રેસિંગ કર્યુંઃ બાળકીની માતા
નર્સની બેદરકારીને લઇ બાળકીના પરિવારજનોએ હોસ્પિટલ સામે રોષ ઠાલવ્યો છે અને નર્સ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. બાળકીના માતાનું કહેવું છે કે, નર્સે ડ્રેસિંગની કામગીરી દરમિયાન બાળકીનો અંગુઠો કાપી નાખ્યો. નાની બાળકીઓના ડ્રેસિંગ કરતી વખતે કાતરની જરૂર નથી હોતી છતા પણ નર્સે કાતરથી ડ્રેસિંગ કર્યું.
પહેલા ફરિયાદ ન લેવાઇ બાદમાં નર્સ સામે નોંધાઇ ફરિયાદ
અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં નર્સ દ્વારા થયેલી બેદરકારી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં વી.એસ.હોસ્પિટલની જવાબદાર નર્સ સામે IPC 337 મુજબ ફરિયાદ નોંધાઈ છે. બાળકીના પરિવારે શારીરિક સલામતી જોખમમાં મુકવા બદલ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ નર્સે બેદરકારી દાખવીને બાળકીનો અંગૂઠો કાપી દીધો હતો. જેને લઈને બાળકીનો પરિવાર એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયો હતો. પરંતુ પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યારે કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખે દરમિયાનગીરી કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા જવાબદાર નર્સ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
નર્સ ફરાર? ઘટના બાદથી જ નર્સને રજા પર ઉતારી દેવાઇઃ સૂત્ર
VS હોસ્પિટલમાં બાળકીનો અંગુઠા કાપવાના મામલે બેદરકારી દાખવનાર નર્સ સોનાલી પટણી ફરાર થઇ ગઇ છે. નર્સ સોનાલી પટણીએ બાળકીનું ડ્રેસિંગ કરતી વખતે બાળકીનો અંગુઠો કાપી નાખ્યો હતો. ત્યારે મળતી માહિતી મૂજબ ઘટના બાદ નર્સને રજા પર ઉતારી દેવાઇ છે. એટલે ક્યાંકને ક્યાંક હોસ્પિટલ તંત્ર દ્વારા નર્સને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શરત ચૂકથી ઇજા થઇ છેઃ સુપરિટેન્ડેન્ટ
વીએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને એક માસૂમ બાળકીનો અંગુઠો કપાઇ ગયો તે ગંભીર બેદરકારી નથી લાગતી. વીએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે કહ્યું કે, આ બેદરકારી નથી. જાણી જોઇને સ્ટાફનો કોઇ સભ્ય આવું ન કરે આ કોઇ બેદરકારી નથી પરંતુ જો નર્સની બેદરકારી સામે આવશે તો તેમની સામે પગલા લેવાશે. સુપ્રિટેન્ડન્ટે કહ્યું કે, પાટા કાપતી વખતે અંગુઠો કપાયો છે હાલ બાળકી સારવાર હેઠળ છે.
કસૂરવાર સામે કાર્યવાહી કરાશે કોઇને છોડવામાં નહીં આવેઃ મેયર
આ મામલે મેયર બિજલબેન પટેલે કહ્યું કે, જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરાશે કોઇને છોડવામાં નહીં આવે. ત્યારે અહિંયા વીએસ હોસ્પિટલની કામગીરીને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે આ અગાઉ ગત મહિને વીએસ હોસ્પિટલમાં મૃતદેહ બદલાઇ જવાની ઘટના સામે આવી હતી.
બાળકીનો અંગુઠો કપાવવા મુદ્દે CM રૂપાણીની પ્રતિક્રિયા
અમદાવાદની વી. એસ. હોસ્પિટલમાં બાળકીનો અંગુઠો કપાવવાના મામલે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે આ સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરવામાં આવશે. બીજી વાર આવી ઘટનાઓ ના ઘટે તે ધ્યાન રાખવામાં આવશે. તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઘટનામાં ગંભીર બેદરકારી સામે આવી છે: મનિષ દોશી
વીએસ હોસ્પિટલમાં નર્સે બાળકીની આંગળી કાપી નાખાવના મામલે હવે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે. કોંગ્રેસ નેતા મનિષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, આ ઘટનામાં ગંભીર બેદરકારી સામે આવી છે દર વખતે તપાસ થશે તેવું કહેવામાં આવે છે પરંતુ તપાસ થતી નથી. ઉપરાંત મનિષ દોશીએ કહ્યું કે, બાળકીના પરિવારને વીએસ તંત્રએ વળતર ચૂકવવું જોઇએ.
તંત્રએ કહ્યું હતું કે, જવાબદારો સામે કાર્યવાહી થશે અને આજે પણ એવું જ નિવેદન આપ્યું. પરંતુ અહિંયા સવાલ એ છે કે, કેમ વારંવાર વીએસમાં આવી બેદરકારી સામે આવે છે. જો આ રીતે જ બેદરકારી થતી રહી તો લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર કરવા જતા પણ ડર અનુભવશે. અહિંયા સવાલ એ પણ છે કે, સારવાર દરમિયાન અનુભવી તબીબો કેમ હાજર નથી હોતા ? શું વીએસ હોસ્પિટલમાં અનુભવી તબીબો જ નથી ? શું માત્ર પ્રેક્ટિસ કરતા તબીબો પર જ વીએસ હોસ્પિટલ ચાલે છે ?
અમદાવાદની વિવાદીત હોસ્પિટલ
અમદાવાદની VS હોસ્પિટલમાં 6 મહિનાની બાળકીનો અંગૂઠો કપાયો હતો. અગાઉ પોસ્ટમોર્ટ દરમિયાન મૃતદેહ બદલાયા હતા. મહિલાના મૃતદહેને બેદરકારીથી અદલાબદલી કરાયા હતા. એલજી હોસ્પિટલમાં 80 વર્ષના વૃદ્ધને મારવાનું ઈન્જેક્શન યુવતિને અપાયું હતુ. એલજી હોસ્પિટલમાં ડાબા પગના ઓપરેશનને બદલે જમણા પગનું ઓપરેશન કરાયું હતું. એલજી હોસ્પિટલમાં આંખના ઓપરેશનમાં પણ બેદરકારી રખાઈ હતી. ડાબીના બદલે જમણી આંખનું ઓપરેશન કરાયું હતું. એલજી હોસ્પિટલમાં બે વખત હોસ્પિટલની અંદર હત્યાની ઘટના બની છે. હોસ્પિટલ સત્તાધીશો અને સિક્યુરીટી ગાર્ડ માત્ર જોતા જ રહ્યા હતા. સિવિલ હોસ્પિટલની અંદર મહિલાના પેટમાં કાતર ભૂલી જઈને કરી બેદરકારી રાખી હતી. સિવિલ હોસ્પિટલમાં અકસ્માત બાદ યુવાનને એનેસ્થેસિયાનો વધુ ડોઝ અપાયો હતો. યુવકને વધુ ડોઝના કારણે મોત થયું હતું.