વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. થરાદના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ ભાજપમાં જોડાયા છે. તેમને કોંગ્રેસે ટિકિટ ન આપતા આજે (ગુરૂવાર) મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા. આ દરમિયાન ભાજપની જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ, આતંકવાદ, કાશ્મીર અને રામ મંદિર અંગે નિવેદન આપ્યું હતું.
ગુજરાતના 26 સાંસદો PM મોદીના પડખે
આતંકીઓને ઇંટનો જવાબ પથ્થરથી અપાશે
રામ મંદિર ન બને તેવું કોંગ્રેસ ઇચ્છી રહી છે
થરાદમાં ભાજપની જાહેરસભામાં CM રૂપાણી ગરજ્યા હતાં. તેમણે જણાવ્યુ હતું કે માવજીભાઇ પટેલ ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠામાં કોંગ્રેસ સાફ થઇ ગઇ છે. જયારે થરાદ વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે. ગુજરાતના 26 સાંસદો PM મોદીના પડખે ઉભા છે.
તેમજ આંતકવાદીઓ અંગે જણાવતા કહ્યું હતું કે આતંકીઓને ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. કાશ્મીરમાં હાલ શાંતિ છે, વિકાસ શરૂ થઈ ગયો છે. 370ની કલમને લઇને ઘણા લોકો શહીદ થયા છે. મનમોહન સરકારમાં મુંબઈમાં હુમલો થયો હતો.
રામ મંદિર અંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, તેમજ આ કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે. કોંગ્રેસ ઇચ્છે છે કે રામમંદિર ન બને. જ્યારે અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થશે.
કોંગ્રેસે આતંકીઓને જવાબ ન આપ્યોઃ CM રૂપાણી
થરાદ અગાઉ બાયડમાં પેટાચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ સભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા ગરીબ ખેડૂત વિરોધી રહી છે. ખેડૂતોના મુદ્દા પર હંમેશા કોંગ્રેસ રાજનીતિ કરી છે. ત્યાર બાદ તેમણે જણાવ્યુ હતું કે, કોંગ્રેસમાં રાહુલ ગાંધી દર ચાર મહિનામાં રજા પર ઉતરી જાય છે. પાર્ટીમાં શું ચાલે છે, તે નેતાઓને પણ જાણ હોતી નથી. સાથે જ તેમણે જણાવ્યુ કે, મુંબઈમાં થયેલા હુમલા બાદ કોંગ્રેસે જવાબ આપ્યો ન હતો, જેથી આતંકીઓની હિંમતમાં વધારો થયો.