કમોસમી વરસાદના કારણે સરકારે ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા મૌકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 15 નવેમ્બર સુધી મગફળીની ખરીદી સ્થગિત કરી દેવામાં આવી છે. સરકાર 15 નવેમ્બર સુધી મગફળીની ખરીદી નહીં કરે. ઉપરાંત સીએમ રૂપાણીએ કહ્યું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનો સર્વે કરી સરકાર તમામને વળતર આપશે.
15 નવેમ્બર સુધી મગફળીની ખરીદી નહીં કરે સરકારઃ CM
ખેડૂતોને જે પણ નુકસાન થયું તેનું વળતર અપાશેઃ CM
ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા મૌકૂફ રખાઇ છે ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે નિયમો પ્રમાણે ખેડૂતોને સહાય કરીશું. અત્યારે 3 દિવસ વરસાદની શક્યતા છે જેને લઇને સરકારે આ નિર્ણય લીધો છે. વરસાદ પછી જે નુકસાન થયું હશે તેમાં સરકાર સહાય કરશે.
પાકના રક્ષણ માટે કૃષિ વિભાગે ખેડૂતોને સુચનો જાહેર કર્યા
મહા વાવાઝોડાના પગલે કૃષિ વિભાગે સુચન કર્યા છે. તૈયાર પાકની કાપણી મુલત્વી રાખવા સુચન કર્યા છે. કાપણી સહિત 20થી વધુ સુચનોની યાદી જાહેર કરી છે. સમસ્યાના ઉકેલ ખેતીવાડી અધિકારીના સંપર્ક માટે સુચન કર્યું છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ
મહા વાવાઝોડાનો કહેર સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ આફતને જોતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા યાર્ડને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, મગફળી અને કપાસની આવક બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. કારણ કે, વરસાદી આફતના કારણે મગફળી અને કપાસનો પાક પલળી જવાની ભીતી છે. જેથી આ આફત ટળી ન જાય ત્યાં સુધી ખેડૂતોને પોતાનો પાક યાર્ડમાં ન લાવવા માટે સૂચન આપવા આવ્યું છે. જેથી કરીને કોઈ મોટી નુકસાની વેઠવી ન પડે.
મહા વાવાઝોડુ દિશા બદલી રહ્યું છે
મહત્વનું છે કે રાજ્યમાં મહા વાવાઝોડાને લઈને રાહતના સમાચાર છે. મહા વાવાઝોડાનો ગુજરાત પરથી ખતરો ટળી શકે છે. મહા વાવાઝોડું ગુજરાતમાં ન આવે તેવી શક્યતા છે. મહા વાવાઝોડું દરિયામાં જ દિશા બદલે તેવી શક્યતા છે. હાલમાં મહા વાવાઝોડુ દિશા બદલી રહ્યું છે. આગામી દિવસોમાં વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. લક્ષદ્વીપથી ઉદભવેલુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ શકે છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં તંત્ર અલર્ટ થયુ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાના કારણે દરિયા કિનારે પવન ફૂંકાઈ શકે છે અને સામાન્ય વરસાદ આવે તેવી પણ શક્યતા છે.