મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિજયા દશમીના પાવન પર્વે મુખ્યમંત્રીના સુરક્ષા સલામતિ કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પરંપરાગત પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ વિજયા દશમીના પર્વને અસત્ય પર સત્યના વિજયનું અને આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પર્વ ગણાવતા કહ્યું કે, વર્તમાન સમયમાં ઉપલબ્ધ અત્યાધુનિક શસ્ત્રોનું પૂજન કરી ‘આપણું ગુજરાત સુરક્ષિત ગુજરાત’ બને સલામત રહે તેવી ભાવના દ્રઢીભૂત કરી છે.
ગાંધીનગરમાં CM રૂપાણીનો શસ્ત્રપૂજન કાર્યક્રમ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને શસ્ત્રપૂજન
આજે દશેરા નિમિત્તે CM રૂપાણીએ કર્યું શસ્ત્રપૂજન
ઉલ્લેખનીય છે કે, રાજ્યના લોકોને સલામતી સુરક્ષા આપવા આપણે અસ્ત્ર-શસ્ત્ર અને આધુનિક સમયની ટેકનોલોજીના ઉપયોગ થી સજ્જ બની આગામી પડકારોને ઝીલવા સક્ષમ બન્યા છીએ તેમ તેમણે ઉમેર્યું હતું. ગાંધીનગર ખાતે CM વિજય રૂપાણીએ આ અવસરે કહ્યું કે શસ્ત્રપૂજા પાછળની ભાવના અને આપણું લક્ષ્ય સમગ્ર ગુજરાત સુરક્ષિત બને અને આતંકવાદીઓ, ગુંડાઓ, લુખ્ખા તત્વોનો નાશ થાય તે છે.
યુદ્ધના નીતિ-નિયમોનું પાલન કરવું એ આપણો ધર્મ : CM વિજય રૂપાણી
તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર સંદેશા વ્યવહાર, શસ્ત્રો વગેરેની અદ્યતન પ્રણાલીઓ વિકસાવી રહી છે. વર્તમાન કેન્દ્ર સરકાર પણ રાફેલ જેવા અત્યાધુનિક શસ્ત્રોનો સેનામાં ઉમેરો કરી દેશની સ્વરક્ષણની તાકાત વધારી રહી છે. સમયની માંગ અનુસાર આધુનિક શસ્ત્રો ધારણ કરી સજ્જ રહેવું અને યુદ્ધના નીતિ-નિયમોનું પાલન કરવું એ આપણો ધર્મ અને પૌરાણિક-સાંસ્કૃતિક પરંપરા રહી છે.
વિજય ત્યારે જ થાય જ્યારે યુદ્ધમાં શસ્ત્રો પાવરફૂલ હોય તથા જ્ઞાન-યુદ્ધમાં શાસ્ત્રો પાવરફૂલ હોય
મુખ્યમંત્રીએ કહ્યું કે,શસ્ત્રોની પૂજા એ યાદ અપાવે છે કે શસ્ત્રોનો ઉપયોગ અત્યાચારીઓ સામે જ કરવાનો છે. શસ્ત્રનો ઉપયોગ આપણે નિર્દોષો ઉપર કરતા નથી. વિજય ત્યારે જ થાય જ્યારે યુદ્ધમાં શસ્ત્રો પાવરફૂલ હોય તથા જ્ઞાન-યુદ્ધમાં શાસ્ત્રો પાવરફૂલ હોય. યુદ્ધ માટે શાસ્ત્ર અને શસ્ત્ર એમ બંનેની આવશ્યકતા છે. તેમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
રામાયણના યુદ્ધમાં પણ દરેક શસ્ત્રો પૂજન પછી તેના ઉપયોગ થયો હતો
રાજ્ય સરકારમાં શસ્ત્ર પૂજનની પરંપરા વિષે મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલી પરંપરા આ જ આજદિન સુધી ચાલુ રહી છે. મુખ્યમંત્રીએ આપણા ધર્મ ગ્રંથો માં પણ શસ્ત્ર પૂજન નું મહત્વ છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન સંતાડેલા શસ્ત્રો બહાર કાઢીને સૌ પ્રથમ તેનું પૂજન કરેલું. રામાયણના યુદ્ધમાં પણ દરેક શસ્ત્રો પૂજન પછી તેના ઉપયોગ થયો હતો.