ગુજરાત સરકાર દ્વારા આજે રાજ્યભરમાં ખેડૂતોને સહાય ચુકવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજગારી, ગુનાખોરી, અને સૌથી વિકટ શિક્ષણ તેમજ ભરતી કૌભાંડ અને ખેડૂતોને કમોસમી વરસાદ તેમજ તીડને કારણે પહોંચી રહેલી હાલાકી વધુને વધુ વિકટ બની છે. ખેડૂતોને સરકાર કુલ 3795 કરોડની ચૂકવણી કરશે.
બનાસકાંઠામાં હાલ તીડનો આતંક જોવા મળી રહ્યો છે
વડોદરા, અમદાવાદ, રાજકોટ, મહેસાણામાં ઉજવાઈ રહ્યો છે રાહતોત્સવ
ખેડૂતોને સરકાર કુલ 3795 કરોડની ચૂકવણી કરશે
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો હતો. જે મામલે સરકારે હવે સહાય ચૂકવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સહાય માટે ચૂકવણી કરવામાં આવી રહી છે. કુદરતી આફતના કારણે ખેડૂતોનો કપાસ અને મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો હતો. જે મામલે હવે સરકારે ખેડૂતોને ટેકો આપ્યો છે. અને સહાય ચૂકવણી શરૂ કરવામાં આવી છે.
વડોદરામાં CM રૂપાણીએ કાર્યક્રમ ઉજવ્યો
વડોદરામાં ખેડૂત સંમેલન યોજાયું જેમા સીએમ વિજય રૂપાણીની હાજરીમાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી. સયાજીપુરા APMC માર્કેટમાં સંમેલન યોજાયું. જેમાં પાંચ જિલ્લા 3 હજાર ખેડૂતોને ચૂકવણી કરાઇ .વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સહાયનું વિતરણ કરાયું.
શું કહે છે મુખ્યમંત્રી
આ દરમિયાન સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં 8 જગ્યાએ ખેડૂતોને સહાય વિતરણ શરૂ થયુ છે. 26 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. અત્યાર સુધીમાં 2 લાખ ખેડૂતોને રૂપિયા મળી ગયા છે. ટેકાના ભાવે ખરીદીના પૈસા પણ ખેડૂતોને મળી જશે અને સિંચાઈ માટે સરકાર ખેડૂતોને પાણી આપશે. સીએમ રૂપાણીએ કહ્યું કે પાકવીમા કંપની અલગ વ્યવસ્થા હોય છે. સરકારે કંપનીઓ પર દબાણ કર્યું છે. તો તીડને લઇને કહ્યું કે બનાસકાંઠામાં 11 ટીમ કાર્યરત છે. અને તીડને અટકાવવા સરકાર કામે લાગી છે.
ભ્રષ્ટાચાર નિમિત્તે શું કહ્યું CM રૂપાણીએ
સીએમ વિજય રૂપાણીએ વડોદરામાં ખેડૂતોને સહાય વિતરણ કાર્યક્રમમાં ભ્રષ્ટાચારીઓને લઇ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે અમારી સરકાર ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓને પણ નહીં છોડે. ACBના અધિકારી ભ્રષ્ટાચાર કરશે તો તેને પણ નહી છોડવામાં આવે. તમને જણાવી દઇએ કે ગતરોજ જૂનાગઢ ACBના PI 18 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. તેઓએ સરપંચ પાસેથી 18 લાખની લાંચ માગી હતી.
અમદાવાદમાં ખેડૂતો ઉમટ્યા
અમદાવાદના ધોળકામાં ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં ખેડૂતોને સહાયનું વિતરણ કરાયું હતું. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર ખેડૂતોને સહાય ચૂકવાશે. ત્યારે ધોળકામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે.