ગાંધીનગર: ગુજરાતમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજરોજ કરાવ્યો હતો. આ યોજનાને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતેથી કરાવ્યો હતો.
અમદાવાદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં CM રૂપાણી Dy.CM નીતિન પટેલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવતા વિજય રૂપાણી જણાવેલ કે આ યોજના અંતર્ગત 44 લાખ પરિવારોને લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ ગુજરાત રાજ્યના 44 લાખ પરિવારોના સવા બે કરોડ લોકોને મળી શકશે આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા પાત્ર છે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્યભરમાં 1900 હોસ્પિટલની ખાસ વ્યવસ્થા રાજ્યની રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે આ કાર્યક્રમમાં રાજ્યના ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે PM મોદી દ્વારા શરૂ કરાયેલી યોજના મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન છે.
જેનો સીધો લાભ ગુજરાતમાં સવા બે કરોડ લોકોને મળશે. તો આ તરફ અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના જ કેટલાક નેતા-હોદ્દેદારો ગેરહાજર રહેતા તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.