રાજ્યસભામાં પાસ થયા બાદ આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલને લોકસભામાં ચર્ચા માટે રાખ્યું હતું. જેને સદનમાં વોટિંગ બાદ પાસ કરી દેવામાં આવ્યું. લોકસભામાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ખતમ કરવાનો સંકલ્પ પણ પસાર થયો. ત્યારે ગુજરાતના રાજકીય નેતાઓએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ત્યારે કેટલાક વિપક્ષીનેતાઓએ પણ સમર્થન આપ્યું છે.
કમલમ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી
ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા કાશ્મીર મુદ્દે સરકારના ઐતિહાસિક નિર્ણયની ઉજવણી કરાઇ હતી. જે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી રૂપાણીએ શુભેચ્છા પાઠવી
આ દરમિયાન સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, 370ની કલમ હટી છે ત્યારે આજનો દિવસ ઐતિહાસિક છે. આ નરેન્દ્ર મોદી અને અમિત શાહની રાજકીય ઇચ્છાશક્તિનું પરિણામ છે. સરકારે સાહસિક નિર્ણય લીધો છે.
વધુમાં તેમણે કહ્યું કે, અમિત શાહ અને તેમની કેબિનેટ અને તમામ કલમ 370 કલમ વિરૂદ્ધ મત આપનાર તમામ સાંસદોને અભિનંદન. સરદાર પટેલનુ સ્વપ્ન અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન પૂર્ણ કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.
વધુમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વર્ષોથી દેશમાં વોટબેંકની રાજનીતિ અને માત્ર પોતાના કુટુંબોનો જ વિચાર કરવામાં આવતો હતો. જે લોકોએ વિરોધ કર્યો તે તેમામને દેશની જનતાએ જોયા છે. કોણે શું ભાષણો આપ્યા અને કોણે શું મત આપ્યા. કોંગ્રેસ ખુલ્લી પડી ગઇ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન
જેમાં તેમણે નિવેદન આપ્યું છે કે, આજનો દિવસ એક નવો ઇતિહાસ રચાયો છે. કાશ્મીર હવે ભારત સાથે જોડાયું છે. એક દેશ, એક ધ્વજ, એક પ્રધાનનું સ્વપ્ન સાકાર થયું છે. હવે કશ્મીરનો વિકાસ થશે. 3 દિવસ સુધી ઐતિહાસિક નિર્ણયની ઉજવણી કરાશે. તેમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો.
કોંગ્રેસના નેતાનું સમર્થન
જમ્મુ કશ્મીર મુદ્દે સરકારના નિર્ણયને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આવકાર્યો હતો. તેમણે નિર્ણયને આવકારતા ટ્વીટ કર્યું કે, એક દેશ એક સંવિધાન અને સમાન અધિકારનો નિર્ણય આવકાર્ય છે. નિર્ણયને આવકારતા આંતરરાષ્ટ્રીય સ્તરની પણ વાત કરી હતી. કશ્મીરમાં ભારતીય ભૂમી પર ચીન-પાક.ના કબ્જાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સલામતી રહેશે કે રોળાઇ જશે? સમગ્ર ભારતના મનમાં મુંઝવણ છે.
મહત્વનું છે કે આ અગાઉ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ સરકારના નિર્ણયને આવકાર્યો હતો. સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલે લખ્યું હતું કે, કાશ્મીર મુદ્દા પર જે નિર્ણય લેવાયો છે તે યોગ્ય છે, ભારત એક છે.
देश हित में जब बड़ा फ़ैसला सरकार करती है तब उसका विपक्ष साथ देता हैं, लेकिन बड़े फ़ैसले करते वक़्त विपक्ष को भी भूमिका में रखना चाहिए।कश्मीर मुद्दे पर जब बड़ा फ़ैसला लिया जा रहा था तब देश की प्रमुख विपक्ष पार्टी से चर्चा ज़रूरी थी।याद रखिए हमारा देश लोकतांत्रिक हैं और आज़ाद भी।