દિલ્હી ખાતે ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિ આયોગ દ્વારા આ બેઠકનું આયોજન કરાયુ હતું. ત્યારે આ બેઠકમાં CM વિજય રૂપાણી હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોને લઈને તેમણે કેટલાક સૂચનો કર્યા હતા.
જેમાં સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા બજાર વ્યવસ્થામાં બદલાવ આવશ્યક છે. તો કૃષિ નિકાસના પ્રોત્સાહન માટે આંતરરાષ્ટ્રીય માગ અને આંતરરાષ્ટ્રીય નિકાસના માપદંડો અંગે ખેડૂતોને જાણકારી આપવા માટે તેમણે સૂચન કર્યુ છે. તેમજ નાના વેપારીઓને આવશ્યક ચીજવસ્તુ ધારા-1955માંથી મુક્તિ આપવા માટે તથા ગુજરાતમાં ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની ઓફિસ શરૂ થાય તેના માટે CM રૂપાણીએ બેઠકમાં રજૂઆત કરી. આમ, ખેડૂતોને સીધો ફાયદો થાય તે માટે બજારની ભૂમિકામાં બદલાવ લાવવા માટે તેમણે સૂચન કર્યુ છે.
સીએમએ કહ્યું હતું કે, બજારની ભૂમિકામાં બદલાવથી ખેડૂતોને સીધો ફાયદો થશે. નાના વેપારીઓને આવશ્યક ચીજવસ્તુ ધારા-1955માંથી મુક્તિ અપાય છે. ગ્રામીણ કૃષિ બજારને સ્ટોરેજ ફેસેલીટીઝ સાથે જોડવી જોઇએ. ખેડૂત સ્ટોરેજ સવલતનો ઉપયોગ કરે તો વેરહાઉસ રસીદ, ક્રેડિટ સુવિધા અપાય. સ્થાનિક કક્ષાએ સ્ટોરેજ સ્થાપવાથી ખેડૂતોને મદદ થઇ શકે છે.
વધુમાં તેમણે સૂચન કર્યા હતા કે, પાણી સંશાધનોના કાર્યક્ષમ ઉપયોગ માટે માઇક્રો ઇરીગેશન અપનાવી શકાય. માઇક્રો ઇરિગેશનમાં માટે સરકાર 85 ટકા સહાય આપે છે. ગુજરાતની સૂર્યશકિત કિસાન યોજના ‘સ્કાય’નું મોડલ દેશમાં લાગુ કરી શકાય. રાજ્ય સરકાર સ્કાય યોજના અંતર્ગત 60 ટકા સહાય આપે છે.