કુંવરજી બાવળિયાની આગેવાનીમાં સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. ચોટીલામાં યોજાયેલા આ સંમેલનમાં હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ સંમેલનમાં હાજરી આપી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અહીં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને દેવજી ફતેપરા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
મહાસંમેલનમાં સભાને સંબોધતા CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે સમાજનું હિત ઇચ્છનાર લોકોએ કુંવરજીને જીતાડ્યા છે. હવે છેવાડાના માનવીનો વિકાસ થાય એ દિવસો દૂર નથી. કોંગ્રેસ સમાજનો ઉપયોગ કરી માત્ર મતો જ લીધા છે. કુંવરજીએ ભાજપમાં જોડાઈને સરકારી યોજાનાને છેવાડા સુધી પહોંચાડી છે. કેન્દ્ર સરકાર ગામડાંઓ અને ખેડૂતો માટે યોજનાઓ બનાવી ગરીબ ખેડૂતોને 6000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
કુંવરજી બાવળિયાનું શક્તિપ્રદર્શન
મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું હતું. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને થોડો સમય બાકી છે. ત્યારે આ કોળી સંમેલનને શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવ્યું હતું. જસદણ બેઠક પરથી જીત મેળવ્યા બાદ કુંવરજી બાવળિયાનું શક્તિપ્રદર્શન માનવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠકમાં કોળી સમાજની બહુમતિ છે ત્યારે કોળી સમાજનું સંમેલન અનેક ચર્ચાઓ જગાવે છે.
પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી કર્યુ સંબોધન
પીએમ મોદીએ કહ્યું હતું કે કોળી સમાજના વિકાસ માટે અમારી સરકાર કટિબદ્ધ અને કાર્યરત છીએ. કોળી સમાજના વિકાસ અને સમૃદ્ધિ માટે આવા સંમેલન થવા જરૂરી છે. પીએમ મોદીએ આ પ્રસંગે એમ પણ કહ્યું હતું કે કુંવરજી મારા જૂના મિત્ર છે.
સંમેલનને નિષ્ફળ બનાવવાનો કરાયો હતો પ્રયાસ
કુંવરજી બાવળીયાએ બોલાવેલા કોળી સંમેલનને નિષ્ફ્ળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સંમેલનને નિષ્ફળ બનાવવા કોંગ્રેસનાં કોળી આગેવાનો સક્રિય થયાં હતાં. ઋત્વિક મકવાણા સોમા પટેલ સહિત કોંગ્રેસનાં આગેવાનો આ સંમેલન સામે પ્રશ્ન ઉભા કરી રહ્યાં છે. તેઓ કોળી સમાજનાં લોકોને સંમેલનમાં ન જવા માટે આગ્રહ કરી રહ્યાં છે.