મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ પત્રકાર પરિષદમાં કેટલીક મહત્વની વાતો જણાવી હતી, કોરોના સામે લડવાની નીતિઓ અંગેની કેટલીક જાહેરાતો કરી હતી.
અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો
આક્રમક ટેસ્ટિંગ માટે સરકારના પ્રયાસ
CM રૂપાણીએ ધન્વંતરી રથનું લોકાર્પણ કર્યું
CM રૂપાણીએ ધન્વંતરી રથનું લોકાર્પણ કર્યું હતુ.
રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. કોરોના માટેનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. ડાયાબિટિસ, બ્લડ સુગર, હિમોગ્લોબીનનો ટેસ્ટ પણ કરાશે. ધન્વંતરી રથ દ્વારા જ દર્દીઓને દવાઓ પણ અપાશે. અમદાવાદમાં હાલમાં 35 ધન્વંતરી રથ કાર્યરત છે. લોકોમાં સંક્રમણ વધી જાય તે બાદ તે દવાખાને આવે છે જેને કારણે મોત થાય છે એટલે આ મામલે જો પહેલેથી જ ટેસ્ટ કરી લેવામાં આવે તો કોરોનાથી મોત અટકાવી શકાય
કોરોનાના વધતા કહેરને લઇ CM રૂપાણીનું નિવેદન
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. દેશમાં 1.35 લાખ જેટલા કેસ દરરોજ આવે છે. ગુજરાત પણ કોરોના સંક્રમણના ભરડામાં છે. ગઈકાલે 4500થી વધુ કેસ નોંધાયા છે. સરકાર લોકોને સારવાર આપવા કટિબદ્ધ છે. ઓછા લોકો સંક્રમિત થાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે. સંક્રમિતોને તાત્કાલિક સારવાર મળે તે પ્રાથમિકતા છે. યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે વધુ કામ કરવું પડ્યું છે.
એક સપ્તાહમાં 15 હજાર બેડની ક્ષમતા વધારી છે. 6700 ઓક્સિજન બેડ ઉભા કર્યા છે. ICU વધારીને 3100 બેડ કરવામાં આવ્યા છે. 965 વેન્ટિલેટરનો વધારો કર્યો છે. અમદાવાદમાં 5 હજાર બેડનો વધારો કર્યો છે. સુરતમાં 4 હજાર, વડોદરામાં 3500 બેડનો વધારો કર્યો છે. 4 મનપા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના વિસ્તારમાં વધુ સંક્રમણ છે.
સરકારે ઝડપથી સારવાર મળે તેવા પ્રયાસ કર્યા છે. લોકોને વિનંતી છે કે બહાર નીકળવાનું ટાળે. કામ પૂરતું જ લોકો બહાર નીકળે. સ્વંયભૂ જ લોકો બહાર નીકળવાનું ટાળે. માસ્ક ફરજિયાત પહેરવાનું રાખવું. સોશિયલ ડિસ્ટન્સ ઘટે તેવા કાર્યક્રમ ના કરે. લોકો પોતે જ ગંભીરતા દાખવે તો સારૂ. સરકારને દંડના પૈસામાં રસ નથી. હાઈકોર્ટના ઓર્ડર મુજબ જ દંડ લઈએ છીએ.
રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ CM રૂપાણીનું નિવેદન
સુરતમાં 12 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન મોકલ્યા છે. છેલ્લા સપ્તાહમાં 88 હજાર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી છે. 3 લાખ ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. હાલમાં પ્રતિદિન 1.20 લાખ ટેસ્ટ કરી રહ્યાં છીએ. લક્ષણ વિના પણ કોરોના કેસ આવે છે. કોરોના કેસ જેટલા હોય તેને શોધવામાં આવ્યા છે. સરકાર આંકડાની ચિંતા નથી કરતી.
ગાંધીનગરની ચૂંટણીને લઇ CM રૂપાણીનું નિવેદન
ગાંધીનગરની ચૂંટણી આવા વાતાવરણમાં મોડી થાય એ જ હિતાવહ છે. ચૂંટણીપંચને પત્ર લખી રજૂઆત કરી છે. સ્થિતિ સામાન્ય થાય ત્યારે ચૂંટણી થાય તે જરૂરી છે.
ભાજપ દ્વારા ઈન્જેક્શ વિતરણ મામલે C R Patilને પૂછો
સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર વિતરણ મુદ્દે CMનું નિવેદન એવું હતુ કે, સરકારે ભાજપને કોઈ જથ્થો નથી આપ્યો. ઈન્જેક્શનના જથ્થા મુદ્દે સી.આર.પાટીલને પૂછવું જોઈએ. સી.આર.પાટીલે વ્યવસ્થા કેવી રીતે કરી એ તેમને ખબર છે ને ખબર નથી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,09,626 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
આજે 42 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 42 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 187 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 22,692 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1296 કેસ અને ગ્રામ્યમાં 20 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 891 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 213 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 265 કેસ, જ્યારે ગ્રામ્યમાં 141 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 340 કેસ અને ગ્રામ્યમાં 70 કેસ નોંધાયા છે.
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...